હાઉસિંગ સોસાયટીઓને કૂવાના પાણીનો ઉપયોગ કરવાનું BMCનાં કમિશનરનું સૂચન
ફાઇલ તસવીર
ચોમાસાના મોડા આગમનને અને મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોમાં પાણીના ઘટતા જતા સ્તરને ધ્યાનમાં રાખીને BMCનાં કમિશનર અશ્વિની ભિડેએ મુંબઈના તમામ કૂવાઓની સ્થિતિની તાકીદે તપાસ કરવા અને જ્યાં પણ જરૂર જણાય ત્યાં કાંપ કાઢવાની તેમ જ કચરો હટાવવાની કામગીરી હાથ ધરવાનો નિર્દેશ આપ્યો છે. કમિશનરે એક રિવ્યુ મીટિંગ દરમ્યાન જણાવ્યું હતું કે કૂવાઓની નજીક આવેલી હાઉસિંગ સોસાયટીઓને આ કૂવાઓમાંથી પાણીનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવી જોઈએ તેમ જ કૉર્પોરેટરો, વહીવટી તંત્ર અને હાઉસિંગ સોસાયટીઓ વચ્ચે આ બાબતે જરૂરી કો-ઑર્ડિનેશન રાખવું જોઈએ.
અશ્વિની ભિડેએ કહ્યું હતું કે ‘મુંબઈમાં અસરકારક જળ-વ્યવસ્થાપન માટે પરંપરાગત જળસ્રોતોને પુનર્જીવિત કરવા અને વૈકલ્પિક સ્રોતોનો ઉપયોગ કરવો અનિવાર્ય છે. શહેરની વધતી જતી વસ્તી અને ક્લાઇમેટ ચેન્જની અસરોને કારણે વૉટર મૅનેજમેન્ટ વધુ ને વધુ પડકારજનક બની રહ્યું છે.’
ADVERTISEMENT
તમામ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનરોને મુંબઈના તમામ જાહેર, સરકારી માલિકીના અને પ્રાઇવેટ કૂવાઓ તેમ જ બોરવેલની લેટેસ્ટ માહિતી એકત્રિત કરવા માટે કહેવામાં આવ્યું છે. કૂવાઓના રિપેરિંગ વખતે એ રીસ્ટોર કરાયેલા કૂવાઓ ઉપયોગમાં લેવાય એ બાબતનું ધ્યાન રાખવાની અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
