જાનહાનિનો ગંભીર આરોપ હોવાથી સેશન્સ કોર્ટે જામીન આપવાની મનાઈ કરી
મુંબ્રા ટ્રેન ટ્રૅજેડી કેસ
મુંબ્રા ટ્રેન ટ્રૅજેડી કેસમાં ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ સેન્ટ્રલ રેલવેના બે એન્જિનિયરો સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યો હતો, જેને પગલે બન્ને એન્જિનિયરોએ આગોતરા જામીન માટે થાણેની સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જોકે કોર્ટે તેમની આ અરજી ગઈ કાલે ફગાવી દીધી હતી.
બચાવ પક્ષે રજૂ કરેલા ઘટનાક્રમ પ્રમાણે કસારા જતી ટ્રેન અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) તરફ જતી ટ્રેન મુંબ્રા સ્ટેશન નજીક તીવ્ર વળાંક પરથી એક જ સમયે પસાર થઈ રહી હતી ત્યારે કોચના ફુટબોર્ડ પર ઊભેલા કેટલાક મુસાફરોની બૅકપૅક એકબીજા સાથે અથડાઈ હતી, જેને કારણે અમુક મુસાફરો પાટા પર પડી ગયા હતા. આ દુર્ઘટનામાં પાંચ જણે જીવ ગુમાવ્યો હતો.
ADVERTISEMENT
બચાવ પક્ષના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે અકસ્માત ભીડને કારણે થયો હતો. પુરાવા તરીકે ૧૧ વિડિયો પણ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં બૅગ્સ ટ્રૅક નજીક પડેલી જોઈ શકાતી હતી. જોકે GRP દ્વારા ટેક્નિકલ તપાસના આધારે રજૂ કરવામાં આવેલા તારણ મુજબ આ જગ્યા પર પાટા ઊંચાનીચા હોવાના કારણસર અને પાટામાં વેલ્ડિંગ ન હોવાને લીધે દુર્ઘટના બની હતી. આ વાતની જાણ હોવા છતાં એન્જિનિયરોએ ટ્રૅકનું સમારકામ કર્યું ન હોવાથી તેમને જવાબદાર ઠેરવીને FIR નોંધવામાં આવ્યો હતો.
ઍડિશનલ સેશન્સ જજે દલીલો સાંભળ્યા પછી બન્ને એન્જિનિયરોને ધરપકડ પહેલાં જામીન આપી શકાય નહીં એવો ચુકાદો આપ્યો હતો. આગોતરા જામીન નામંજૂર કરીને કોર્ટે કસ્ટોડિયલ પૂછપરછ માટે GRPના હાથ મજબૂત કર્યા છે. બચાવ પક્ષે દલીલ કરી હતી કે એન્જિનિયરોને પ્રશાસનિક ભૂલો માટે બલિનો બકરો બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ કોર્ટે અવલોકન કર્યું હતું કે આરોપો ગંભીર છે અને એમાં જાનહાનિનો સમાવેશ થાય છે એટલે કેસની ગંભીરતા જોતાં આરોપીઓને આગોતરા જામીન આપી શકાય એમ નથી.


