પરંપરાગત રીતે અહીં મૂળ શિવસેનાને પરવાનગી આપવામાં આવતી હોવાથી પત્ર લખ્યો હતો: એનો જવાબ ન મળતાં ફરી પત્ર લખીને બે દિવસમાં પરવાનગી આપવાની માગણી કરવામાં આવશે
શિવાજી પાર્કમાં દશેરાની સભા માટે ઠાકરે ગ્રુપ આપવાનું છે બીએમસીને અલ્ટિમેટમ
મુંબઈ : શિવસેનામાં ઐતિહાસિક ભંગાણ થયા બાદ આ વર્ષની બીજી દશેરા રૅલી શિવાજી પાર્કના મેદાનમાં કરવા માટે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ આક્રમક થયાં હોવાનું જણાઈ આવ્યું છે. આ મેદાનમાં પોતાને સભાની પરવાનગી આપવામાં આવે એ માટે ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા બીએમસીના અધિકારીને બે દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવશે. આટલા સમયમાં બીએમસી યોગ્ય નિર્ણય નહીં લે તો વરિષ્ઠ નેતાઓની સલાહ મુજબ ઠાકરે જૂથ આગળની ભૂમિકા નક્કી કરશે. બીજી તરફ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથે પણ શિવાજી પાર્કના મેદાનમાં દશેરા સભાનું આયોજન કરવા માટે પરવાનગી માગતો પત્ર લખ્યો છે.
શિવસેનાની સ્થાપના થઈ ત્યારથી બાળાસાહેબ ઠાકરેએ દશેરા સભા શિવાજી પાર્કના મેદાનમાં જ કરી હતી. આ પરંપરા ૨૦૨૧ સુધી કાયમ રહી હતી. ગયા વર્ષે શિવસેના ફૂટી ત્યારથી દશેરા સભા કોણ કરશે એવો સવાલ ઊભો થયો છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા શિવાજી પાર્કમાં દશેરા સભાનું આયોજન કરવાના આ વખતે પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. આમાંથી આ વખતે કોણ સફળ થાય છે એ જોવું રહ્યું.
અજિત પવાર નારાજ છે?
નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર નારાજ છે અને એનસીપી દ્વારા રાજ્ય સરકાર પર દબાણ લાવવામાં આવી રહ્યું હોવાનું કહેવાય છે. ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અચાનક દિલ્હી રવાના થયા હતા. આથી રાજકીય ચર્ચા શરૂ થઈ છે. એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા અને અમિત શાહને મળે એવી શક્યતા છે.
એકનાથ શિંદેની આગેવાનીની રાજ્ય સરકારમાં સામેલ થયા બાદ કેટલાક મુદ્દે અજિત પવાર એકનાથ શિંદેથી નારાજ હોવાનું કહેવાય છે. આજે રાજ્યના પ્રધાનમંડળની બેઠકમાં પણ અજિત પવાર હાજર નહોતા રહ્યા. રાજ્યના પ્રધાનમંડળના વિસ્તરણ અને પાલક પ્રધાનની નિયુક્તિ કરવામાં થઈ રહેલા વિલંબથી એનસીપી દ્વારા એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ પર દબાણ લાવવામાં આવી રહ્યું હોવાની ચર્ચા છે. આથી જ બંને નેતા દિલ્હી ગયા હોવાનું કહેવાય છે. પ્રધાનમંડળનું વિસ્તરણ કરવા માટે કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કરવી જરૂરી છે.
દેવેન્દ્ર ફડણવીસે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે રાજ્યના રાજકારણમાં બીજેપી મોટો ભાઈ છે એટલે મોટા ભાઈના નાતે બીજેપીએ શિવસેના અને એનસીપી માટે કેટલોક ત્યાગ કરવા તૈયાર રહેવું જોઈએ. દેવેન્દ્ર ફડણવીસના આ નિવેદનથી જણાઈ આવે છે કે મહારાષ્ટ્ર બીજેપીની અંદર કંઈક ચાલી રહ્યું છે જેને લીધે રાજ્ય સરકાર અને આગામી ચૂંટણીને અસર થવાની શક્યતા જોવાઈ રહી છે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)