છેલ્લાં ચાર વર્ષમાં રેલવે સિગ્નલ સિસ્ટમ 13000થી વધુ વાર ખોટકાઈ: RTI
લોઅર પરેલ રેલવે બ્રિજ
ટ્રૅકનું સમારકામ, ઓવરહેડ વાયરનું રિપેરિંગ કે પછી સિગ્નલ સિસ્ટમને સુધારવા માટે રેલવે અવારનવાર બ્લૉક હાથ ધરે છે છતાં છેલ્લાં ૪ વર્ષમાં અધધધ ૧૩૩૫૧ વાર સિગ્નલ સિસ્ટમ ખોરવાઈ હોવાની માહિતી આરટીઆઇ હેઠળ જાણવા મળી હતી, એટલું જ નહીં, મધ્ય અને પશ્ચિમ રેલવેના ટ્રૅક પર છેલ્લાં ૪ વર્ષ દરમ્યાન ૪૨૦ વાર તિરાડ પડતાં ટ્રેન-સર્વિસ ખોરવાઈ હોવાનું જાણવા મળ્યું હતું. સિગ્નલ સિસ્ટમ ખોરવાતાં ટ્રેનો મોડી પડે છે અને સૌથી વધુ નોકરિયાત વર્ગોએ એનો સામનો કરવો પડે છે.
પ્રવાસમાં રેલવેની સૌથી મહત્ત્વની સિસ્ટમ સિગ્નલ છે. સિગ્નલ સિસ્ટમમાં જો ખરાબી થાય તો રેલવે-સર્વિસ ઠપ થઈ જાય છે. છેલ્લાં ચાર વર્ષ દરમ્યાન મધ્ય, હાર્બર અને પશ્ચિમ રેલવે લાઇન પર સિગ્નલ સિસ્ટમ બગડી હોવાની ૧૩,૦૦૦થી વધુ ઘટના બની હોવાનું માહિતી અધિકારમાં જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
રેલવે પ્રવાસીઓનો પ્રવાસ સુખરૂપ અને સુરક્ષિત રહે એ માટે મુંબઈ ઉપનગરીય રેલવે પ્રશાસન તરફથી વિવિધ ઉપાયયોજના હાથ ધરવામાં આવે છે. મધ્ય, હાર્બર અને પશ્ચિમ રેલવેમાં દરરોજ અંદાજે ૭૫,૦૦૦૦૦ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. પ્રવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે એ માટે રેલવે પ્રશાસન દ્વારા દર અઠવાડિયે તમામ પ્રકારની સિસ્ટમની ખામી સુધારવા માટે રવિવારે બ્લૉક હાથ ધરવામાં આવે છે, પણ અઠવાડિયાના પહેલા જ દિવસે એટલે કે સોમવારે જ પ્રવાસીઓએ અનેક હાલાકી વેઠવી પડતી હોવાનું અનેક વાર જોવા મળ્યું છે. આને કારણે રેલવે પ્રશાસનના કામકાજ પર પ્રવાસીઓને શંકા થઈ રહી છે.