વડોદરામાં ખોડિયારનગર વિસ્તારમાં એક શ્વાનને અકસ્માત નડ્યો હતો
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
મધ્ય ગુજરાતમાં આવેલા વડોદરામાં સ્ટ્રીટ-ડૉગને અકસ્માત થતાં બહાર આવી ગયેલી એની એક આંખને કરુણા ઍમ્બ્યુલન્સના ડૉક્ટરે સારવાર કરીને ફરી યોગ્ય રીતે બેસાડીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં ખોડિયારનગર વિસ્તારમાં એક શ્વાનને અકસ્માત નડ્યો હતો, જેમાં એની એક આંખ બહાર આવી ગઈ હતી અને આ શ્વાન કણસી રહ્યો હતો. કોઈક પરોપકારી જીવદયા પ્રેમીએ મૂગા પશુ-પક્ષીઓની સારવાર કરતી કરુણા ઍમ્બ્યુલન્સને મદદ માટે ફોન કરતાં ડૉ. અંશુલ અગ્રવાલ અને ઍમ્બ્યુલન્સના પાઇલટ જયેશ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે જોયું તો શ્વાનની એક આંખ બહાર આવી ગઈ હતી. તેમણે તાત્કાલિક સારવાર શરૂ કરીને બહાર નીકળી ગયેલી આંખને ફરી બેસાડી હતી, જેથી શ્વાન પીડામુક્ત થયો હતો.