‘ચારણી સાહિત્યના તેમને ખંડના ખંડ કંઠસ્થ રહેતા અને એટલે જ તેમની વાણી અસ્ખલિત કલા પીરસતી રહેતી.’
લોકડાયરાના વટવૃક્ષ એવા જિતુદાન ગઢવીનું અવસાન
માત્ર લોકકલાને સાચવવાનું જ નહીં પણ લોકકલાકારોનું જતન અને ઘડતર કરવાનું કામ કરનારા લોકલાડિલા જિતુદાન ગઢવીનું ગઈ કાલે અવસાન થયું હતું. જિતુદાનભાઈને સાંભળવા માટે મોરારિબાપુથી લઈને સ્વામી સચ્ચિદાનંદ પણ બેસી જતાં તો નવી પેઢીના લોકકલાકારો પણ તેમને સાંભળવા માટે તલપાપડ રહેતા. જાણીતા લોકસાહિત્યકાર સાંઈરામ દવેએ કહ્યું હતું, ‘જિતુભાઈને જેટલીવાર તમે સાંભળો એટલીવાર તમને નીતનવું શીખવા મળે. તેમને સાંભળવા એ મારે મન તો એક લહાવાથી સહેજ પણ ઓછી વાત નથી. તેમની હાજરી માત્ર લોકસાહિત્ય માટે વડલા સમાન હતી. હું કહીશ કે ગઢવીના જવાથી લોકસાહિત્યએ આજે એ વડલો ગુમાવ્યો છે.’
રાજકારણમાં જોડાતાં પહેલાં નરેન્દ્રભાઈ મોદી જિતુદાન ગઢવીને સાંભળવા માટે જૂનાગઢથી છેક ગીર સુધી ગયા હતા. પદ્મશ્રી ભીખુદાન ગઢવીએ કહ્યું હતું, ‘ચારણી સાહિત્યના તેમને ખંડના ખંડ કંઠસ્થ રહેતા અને એટલે જ તેમની વાણી અસ્ખલિત કલા પીરસતી રહેતી.’
પોતાના યુવાનીકાળમાં જિતુદાન ગઢવીએ ચોટીલામાં કરેલો એક કાર્યક્રમ ૧૪ કલાક ચાલ્યો હતો, જે આજે પણ લોકસાહિત્યમાં અનબ્રેકેબલ રેકૉર્ડ છે.


