અમદાવાદમાં ભગવાન જગન્નાથ મામાના ઘરે જતાં મંદિરમાં દર્શન નહીં થાય
ભગવાન શ્રી જગન્નાથજીની અમદાવાદમાં નીકળતી પરંપરાગત પૌરાણિક અને ઐતિહાસિક વિશ્વપ્રસિદ્ધ રથયાત્રા મહોત્સવનો ગઈ કાલથી પ્રારંભ થયો હતો.
ADVERTISEMENT
જમાલપુર વિસ્તારમાં આવેલા ભગવાન શ્રી જગન્નાથજીના મંદિરેથી ગઈ કાલે સવારે જળયાત્રાની શોભાયાત્રા નીકળી હતી. ૧૮ ગજરાજો, સાધુ-સંતો, બૅન્ડવાજાં, અવનવા દાવપેચ કરતા અખાડિયનો અને શ્રદ્ધાળુઓ સાથે વાજતેગાજતે આ શોભાયાત્રા સાબરમતી નદીકિનારે ગઈ હતી જ્યાં મંદિરના મહામંડલેશ્વર મહંત દિલીપદાસજી મહારાજ અને મંદિરના ટ્રસ્ટીઓએ ગંગાપૂજન કર્યું હતું. સાબરમતી નદીમાંથી ૧૦૮ ઘડામાં જળ ભરી લાવીને ભગવાન શ્રી જગન્નાથજીની ષોડશોપચાર પૂજનવિધિ કરી મહાજલાભિષેક કરવામાં આવ્યો હતો.
જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પૂજનવિધિ બાદ શ્રી ગણેશજીના સ્વરૂપમાં ભગવાન શ્રી જગન્નાથજીના અતિવિશિષ્ટ ગજવેશ શણગારનાં દર્શન થયાં હતાં. આ શણગારદર્શન બાદ ભગવાન જગન્નાથજીએ તેમના મામાને ઘરે જવા પ્રસ્થાન કર્યું હતું.’
ભગવાન મંદિરમાં ૧૫ દિવસ સુધી દર્શન આપશે નહીં. અમાસના દિવસે ભગવાન નિજ મંદિરમાં પરત ફરશે.
રથયાત્રામાં નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે કે નહીં એનું સસ્પેન્સ યથાવત્
છેલ્લાં ૧૨ વર્ષથી સતત રથયાત્રાના દિવસે સોનાની સાવરણીથી પહિંદવિધિ કરીને એક અનોખો રેકૉર્ડ સર્જનાર ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને હાલમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે અમદાવાદમાં રથયાત્રામાં ઉપસ્થિત રહેશે કે કેમ એ વિશે સસ્પેન્સ સર્જાયું છે.
ભગવાન જગન્નાથજીના મંદિર વતી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રથયાત્રામાં ઉપસ્થિત રહેવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રથયાત્રામાં ઉપસ્થિત રહેવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જે આમંત્રણ મોકલવામાં આવ્યું હતું એ તેમણે સ્વીકાર્યું છે? એવો પ્રfન મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાને કરતાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અમે નિમંત્રણ પાઠવ્યું છે, પરંતુ હજી સુધી કન્ફર્મેશન નથી મળ્યું.


