સુરક્ષા વગર અમને પણ ચેપ લાગી શકે
પ્રતીકાત્મક તસવીર
છત્રપતિ શિવાજી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ ફાયર સ્ટેશન પર કૉન્ટ્રૅક્ટ પર કામ કરી રહેલા પાંચ ડઝન જેટલા ઍમ્બ્યુલન્સ-ડ્રાઇવર્સ અને તેમના સહાયકોએ કોરોના વાઇરસના રોગીઓને સંભાળવાની તેમની કામગીરીમાં કોઈ પ્રકારની સુરક્ષા પૂરી પાડવામાં આવતી ન હોવાની ફરિયાદ કરી છે. કોવિડ-૧૯નો રોગ ફેલાયો ત્યારથી તેઓ માસ્ક અને હૅન્ડ સેનિટાઇઝર્સ વિના જ તેમની ફરજ બજાવી રહ્યા છે.
સંતોષ ખરાત નામના એક ડ્રાઇવરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કોરોના વાઇરસના અસરગ્રસ્ત પેશન્ટોને જીવીકેએ પૂરી પાડેલી ઍમ્બ્યુલન્સમાં ચિંચપોકલીની કસ્તુરબા હૉસ્પિટલમાં લઈ જવાય છે. ઍરપોર્ટ પર તમામ મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે અને કોરોના વાઇરસની અસર ધરાવતા શંકાસ્પદ પેશન્ટોને કસ્તુરબા હૉસ્પિટલ લઈ જવામાં આવે છે. તેમને હૉસ્પિટલ સુધી પહોંચાડવા ઍમ્બ્યુલન્સના ડ્રાઇવર્સ અને તેમના સહાયક સિવાય અન્ય કોઈ નથી હોતું અને ઍમ્બ્યુલન્સમાં ચડાવતા અને ઉતારતા પેશન્ટોને ટેકો આપવો પડે છે. ઘણી વખત ટેકો લેતી વખતે જ તેઓ ખાંસતા હોય છે. તેમનો ચેપ અમને લાગવાની સંભાવના આ તબક્કે સૌથી વધુ હોય છે, પરંતુ અમારી સુરક્ષા માટે અમને માસ્ક કે હૅન્ડ સેનિટાઇઝર્સ અપાયાં નથી. અમે તમામ ‘ઍમ્બ્યુલન્સ ક્રૂ’ નામની હ્યુમન કૅર વર્લ્ડ વાઇડ પ્રા. લિ. માટે કૉન્ટ્રૅક્ટ પર કામ કરીએ છીએ અને અમારું વેતન ૧૦,૦૦૦થી ૧૬,૦૦૦ જેટલું હોય છે. અમારા કૉન્ટ્રૅક્ટમાં આરોગ્યની નીતિનો સમાવેશ નથી હોતો. એવામાં જો અમને આ જીવલેણ રોગનો ચેપ લાગ્યો તો અમારી સારવારનો ખર્ચ કોણ ઉપાડશે? વળી હૉસ્પિટલના સ્ટાફનું અમારી સાથેનું વર્તન ખૂબ જ તોછડું હોય છે. તેઓ અમને કોરોના તરીકે સંબોધન કરે છે અને અમને ‘લંબે સે બાત કરો’ની સૂચના આપતા હોય છે. અમે આ તમામ બાબતોનો ઉલ્લેખ કરી ઍરપોર્ટ ઑથોરિટી અને માનવ સંસાધન વિભાગને પત્ર લખી તેમના આરોગ્યની કાળજી રાખવા માટે તેમ જ માસ્ક અને સેનિટાઇઝર્સ પૂરા પાડવા વિનંતી કરી છે.