વિનોદ કાંબળી હેમખેમ,હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ
અનુરાધા વારાણસી
ગઈ કાલે બપોરે બાંદરાની લીલાવતી હૉસ્પિટલમાંથી ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબળીને રજા આપવામાં આવી હતી. છાતીમાં દુખાવાની ફરિયાદને કારણે તેને છેલ્લા ચાર દિવસથી ત્ઘ્શ્માં રાખવામાં આવ્યો હતો. હૉસ્પિટલના કાર્ડિયોલૉજિસ્ટ ડૉક્ટર જે. પી. જાદવાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેને હાર્ટ-અટૅક નહોતો આવ્યો, પરંતુ તેની ઍન્જિયોગ્રાફી તથા અન્ય રૂટીન ટેસ્ટ કરવામાં આવી હતી. તેના હાર્ટની કન્ડિશનની હિસ્ટરીને જોતાં અમે ચિંતિત હતા.’
ચેમ્બુરથી પોતાની પજેરો કારમાં તે આવી રહ્યો હતો ત્યારે અચાનક તેને છાતીમાં દુખાવો ઊપડ્યો હતો. માટુંગા ટ્રાફિક વિભાગનાં સિનિયર ઇન્સ્પેક્ટર સુજાતા પાટીલ તથા કૉન્સ્ટેબલ કુમાર દત્તા શેડગે તેને હૉસ્પિટલમાં લઈ આવ્યાં હતાં. કાંબલી જાતે કાર ચલાવી શકે એવી હાલતમાં પણ નહોતો. ગયા વર્ષે જ જુલાઈ મહિનામાં કાંબળીની બે બ્લૉક આર્ટરીઝને કારણે ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.
કાંબળીની પત્ની ઍન્ડ્રિયાએ મિડિયામાં બહાર પાડેલા સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘ઈશ્વરની કૃપાથી બધું બરાબર છે. આપ સૌની શુભેચ્છા માટે આભાર. મંગળવારે હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.’