'વાયુ' વાવાઝોડું અપડેટઃ કંડલા,મુંદ્રા,પોરબંદર પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ
કંડલા, મુંદ્રા, પોરબંદર પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ
યૂ-ટર્ન લઈને વાયુ વાવાઝોડું સાંજ સુધીમાં ભૂજ પહોંચી શકે છે. વાયુ વાવાઝોડું ત્રાટકવાની શક્યતાને લઈને ભૂજમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને બંદરો પર વધારે ખતરો છે. જેને જોતા કંડલા બંદર, માંડવી બંદર, મુંદ્રા બંદર અને પોરબંદર બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. કચ્છમાં કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે NDRFની 5 અને BSFની 2 ટીમ તહેનાત કરવામાં આવી છે.
પોરબંદરમાં ત્રણ નંબરનું સિગ્નલ
પોરબંદર બંદર પર પણ ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. વાયુ વાવાઝોડાની અસરના કારણે પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રો-રો ફેરી કરવામાં આવી બંધ
વેરાવળ પાસે પણ ત્રણ નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. પ્રવાસીઓને બીચથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે. દરિયામાં કરંટના પગલે ઘોઘા-દહેજ રો-રો ફેરી પણ બંધ કરવામાં આવી છે.
વરસાદની છે આગાહી
વાયુ વાવાઝોડાના પગલે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હજી પણ 2 દિવસ માટે આવું વાતાવરણ રહી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વાયુ વાવાઝોડાના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પવનની ગતિ 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.
આ પણ વાંચોઃ 'વાયુ' બતાવી રહ્યું છે અસર, કચ્છમાં વરસાદની થઈ શરૂઆત
ADVERTISEMENT
તંત્ર છે તૈયાર
હવામાન વિભાગના પૂર્ણ સંકલન સાથે રાજ્ય સરકાર તમામ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહી છે. સાવચેતીનાં પૂરતાં પગલાં લેવાઈ રહ્યા છે. પંકજકુમારે નાગરિકોને કોઈ પણ જાતનો ભય મનમાં નહીં આણવાની અપીલ કરતાં જણાવ્યું છે કે, રાજ્ય સરકાર પરિસ્થિતિ પર સંપૂર્ણ નજર રાખી રહી છે અને સમગ્ર પરિસ્થિતિ રાજ્ય સરકારના નિયંત્રણમાં છે.
ઉલ્લેખનીય છે કે, વાયુ વાવાઝોડાએ ઓમાન તરફ ફરતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, શુક્રવારે મોડી રાત્રે વાવાઝોડાએ યુ- ટર્ન માર્યો હોય એમ કચ્છ તરફ આગળ વધવા લાગ્યું છે જેથી તંત્ર ફરી અલર્ટ થઈ ગયું છે.