વેપારીઓની જીત થાણે-મીરા-ભાઈંદરમાં દુકાનો ખૂલશે
પ્રતીકાત્મક તસવીર
લૉકડાઉન રદ કરવા માટેની વેપારીઓની માગણીને ધ્યાનમાં રાખીને ગઈ કાલે થાણે અને મીરા-ભાઈંદરમાં પ્રશાસને હૉટસ્પૉટ ક્ષેત્ર સિવાયનાં સ્થળોએ પી-1 અને પી-2 પદ્ધતિથી સવારે ૯થી સાંજે પાંચ વાગ્યા સુધી દુકાનો ખોલવાની છૂટ જાહેર કરી હતી. આ છૂટછાટ ૩૧ જુલાઈની સાંજે પાંચ વાગ્યા સુધી લાગુ રહેશે.
થાણે તથા મીરા-ભાઈંદર મહાનગરપાલિકા પ્રશાસન દ્વારા મિશન બિગિન અગેઇનના ભાગરૂપે ગઈ કાલે જારી કરાયેલા આદેશ મુજબ હૉટસ્પૉટ ક્ષેત્ર ઉપરાંત મૉલ્સ, માર્કેટ અને કૉમ્પ્લેક્સને બાદ કરતાં તમામ શાકભાજીની માર્કેટ સાથે દુકાનો પી-1 અને પી-2 મુજબ ખોલવાની પરવાનગી આપી હતી.
ઉલ્લેખનીય છે કે ૨૯ જૂનથી થાણે મહાનગરપાલિકા ક્ષેત્રમાં કોરોનાના મોટા પ્રમાણમાં કેસ નોંધાતાં સંપૂર્ણપણે લૉકડાઉન જાહેર કરાયું હતું. જોકે લૉકડાઉન કરાયા બાદ બાદ પણ કેસમાં ઘટાડો ન થવાની સાથે વેપારીઓની આર્થિક સ્થિતિ સતત ખરાબ થતી હોવાથી તેમણે ૨૦ જુલાઈએ પ્રશાસન મંજૂરી આપે કે નહીં દુકાનો ખોલીને આંદોલનની ચીમકી આપી હતી. જોકે હવે પાલિકાએ દુકાનો ખોલવાની મંજૂરી આપી હોવાથી વેપારીઓએ રાહત અનુભવી છે.