વિજય રૂપાણીના મતે આટલા સમયમાં આવી જશે કોવિડ-19ની રસી
ફાઈલ તસવીર
કોરોનાના કહેરને લીધે વિશ્વ કોરોના વેક્સિનની રાહ જોઈ રહ્યું છે. ભારતમાં કોરોના વેક્સિન ક્યારે આવશે તે મામલે પણ હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી. બીજીબાજુ બિહાર ચૂંટણીમાં ભાજપ દ્વારા મફતમાં કોરોના વેક્સિન આપવાનો મુદ્દો ચગ્યો છે. તેવામાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોરોના વેક્સિન ક્યારે આ આવશે તે અંગે જણાવ્યું છે.
વડોદરામાં સરદારધામ પ્રોજેક્ટનો શુભાંરભ કરાવતાં મુખ્યપ્રધાન રૂપાણીએ કહ્યું કે, જાન્યુઆરીના અંત સુધીમાં કોરોનાની રસી લોકો સુધી પહોંચવાની શરૂઆત થઇ જશે. જેથી ત્યાં સુધી દરેક વ્યક્તિએ કોરોના મહામારીથી તકેદારી રાખવાની જરૂર છે. કોરોનાની રસી મળે ત્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સ પાળવા સહિતની તકેદારીઓ જ બચાવનો વિકલ્પ છે.
આમ કોરોના મહામારી વચ્ચે સીએમ રૂપાણીએ ગુજરાતના લોકોને એક મોટી આશા આપી છે. અને જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કોરોના જીવલેણ બીમારીથી લોકોને છૂટકારો મળી શકે છે.
ADVERTISEMENT
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. છેલ્લા 2 દિવસથી રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની 1100થી વધુ હતી. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,66,254એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 6 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3682એ પહોંચ્યો છે. જ્યારે 1013 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે રિકવરી રેટ 89.37 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 52,980 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્ય ભરમાં 56,91,372 ટેસ્ટ કરાયા છે.