સીએએના વિરોધ બદલ રાહુલ-પ્રિયંકાનો આભાર
રવિવારે કલકત્તાના બેલૂર મઠમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સીએએ વિશે લોકોને સંબોધિત કર્યા હતા. હવે જેડીયુના રાષ્ટ્રીય નાયબ અધ્યક્ષ પ્રશાંત કિશોરે સીએએ અને એનઆરસીનો વિરોધ કરવા માટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો આભાર વ્યક્ત કર્યો છે. પ્રશાંત કિશોરે દાવો કર્યો છે કે બિહારમાં સીએએ લાગુ નહીં થાય.
પ્રશાંત કિશોરે ટ્વીટ કર્યું હતું કે હું સીએએ અને એનઆરસીનો સત્તાવાર અને સ્પષ્ટ રીતે અસ્વીકાર કરવા માટે કૉન્ગ્રેસના નેતૃત્વનો આભાર વ્યક્ત કરવા માગું છું. હું રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બન્નેનો વિશેષ આભાર વ્યક્ત કરવા માગું છું. આ ઉપરાંત તમામને આશ્વાસન આપું છું કે બિહારમાં સીએએ અને એનઆરસી લાગુ નહીં થાય.
ડિસેમ્બર માસમાં પ્રશાંત કિશોરે ટ્વીટ કરીને અપીલ કરી હતી કે રાહુલ ગાંધી અને કૉન્ગ્રેસે વિરોધ કરવો જોઈએ. સાથે સાથે કૉન્ગ્રેસ નેતૃત્વથી માગણી કરી હતી કે જેટલાં રાજ્યોમાં તેમની સરકાર છે ત્યાં આ કાયદાને લાગુ નહીં કરવાની અપીલ કરવી જોઈએ.