સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ ગળાફાંસો ખાવાને કારણે જ થયું: રિપોર્ટ
સુશાંત સિંહ રાજપૂત
ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે રવિવારે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યા બાદ તેના મૃતદેહનો કબજો બાંદરા પોલીસે લઈને એ કૂપર હૉસ્પિટલમાં ઑટોપ્સી માટે મોકલાવ્યો હતો. ઑટોપ્સીનો પ્રથમ રિપોર્ટ આપતાં ડૉક્ટરે કહ્યું કે સુશાંતનું મોત ગળાફાંસો ખાવાને કારણે થયું છે. એ ઉપરાંત તેના વિસેરાનાં સૅમ્પલ પણ લેવાયાં છે, જેને જેજે હૉસ્પિટલમાં વધુ ઝીણવટભરી તપાસ માટે મોકલાવાયા છે. એનો રિપોર્ટ એકાદ સપ્તાહમાં આવશે. બીજું, ફૉરેન્સિક ટીમે પણ તેના બાંદરાના ફ્લૅટની મુલાકાત લઈને તપાસ કરી કેટલાંક સૅમ્પલ્સ લીધાં હતાં જેનો રિપોર્ટ આવતાં ૧૦ દિવસ લાગી શકે છે. દરમ્યાન રાજ્યના હોમ મિનિસ્ટર અનિલ દેશમુખે કહ્યું હતું કે મૃત્યુની તપાસમાં તેના ડિપ્રેશનને લઈને પણ તપાસ કરવામાં આવશે.
ઝોન-9ના ડીસીપી અભિષેક તીરમુખેએ આ બાબતે માહિતી આપતાં કહ્યું કે ‘પ્રોવિઝનલ પીએમ રિપોર્ટ બાંદરા પોલીસને આપવામાં આવ્યો છે. ત્રણ ડૉક્ટરો દ્વારા સુશાંત સિંહ રાજપૂતની ઑટોપ્સી કરાઈ હતી જેમાં મોતનું કારણ ગાળાફાંસો હોવાનું જણાયું છે.’
ADVERTISEMENT
કેસની તપાસ કરી રહેલી બાંદરા પોલીસે આ કેસમાં કુલ ૬ જણનાં નિવેદન નોંધ્યાં છે જેમાંથી પાંચ જણમાં તેની બહેન, તેના બે મૅનેજર, રસોઈયો અને કી-મેકરનો સમાવેશ છે. તેની બહેન અને બન્ને મૅનેજરની પૂછપરછમાં તેણે આત્મહત્યા કરી હોઈ શકે એ તરફ અંગુલિનિર્દેશ કરાયો છે. જોકે એ બાબતે પછીથી કોઇ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચી શકાશે, કારણ કે હાલમાં તેણે આ પગલું શાને કારણે લીધું એનું કારણ જાણી શકાયું નથી.
પોલીસે તૈના મિત્ર મહેશ શેટ્ટીની પણ પૂછપરછ કરી હતી. સુશાંતે છેલ્લે મહેશ શેટ્ટીને ફોન કર્યો હતો, પણ મહેશે એ ફોન રિસીવ કર્યો નહોતો. ત્યાર બાદ તેણે સુશાંતને કૉલબૅક કર્યો હતો, પણ તેણે એ ફોન ઉપાડ્યો નહોતો. મહેશ શેટ્ટી અને સુશાંત વચ્ચે તેઓ જ્યારે ઇન્ડસ્ટ્રીમાં સ્ટ્રગલ કરી રહ્યા હતા ત્યારથી દોસ્તી હતી.
બાંદરા પોલીસ આજે તેની બહેન અને અન્યોનાં સ્ટેટમેન્ટ નોંધવાની હતી, પણ આજે સુંશાતના મૃતદેહનો કબજો તેના પરિવારને સોંપાતાં વિલે પાર્લે સ્મશાનમાં તેના અંતિમ સંસ્કાર કરાયા હતા અને બધા જ શોકમાં હતા એથી એ શક્ય બન્યું નહોતું, જે હવે પછી લેવાશે.