અમિત શાહના દાવા પર મને ભરોસો નથી : શરદ પવાર
શરદ પવાર
બાલાકોટની ઍર-સ્ટ્રાઇકમાં ૨૫૦ કરતાં વધુ આતંકવાદીઓ માર્યા ગયા હોવાના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના દાવા પ્રત્યે અચરજ વ્યક્ત કરતાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે કહ્યું હતું કે જો આ આંકડા સુરક્ષા દળો દ્વારા જાહેર કરવામાં આવ્યા હોત તો કદાચ મેં એને ગંભીરતાથી લીધા હોત. ગુજરાતની એક રૅલીમાં અમિત શાહે આતંકવાદી છાવણી પરના હવાઈ હુમલામાં ૨૫૦ કરતાં વધુ આતંકવાદીઓ માર્યા ગયો હોવાનો દાવો કર્યો હતો.
હાલમાં જ શ્રીનગરમાં એક હેલિકૉપ્ટર ક્રૅશ થતાં શહીદ થયેલા ઍરર્ફોસના પાઇલટ નિનાદ માંડવગાનેના પરિવારને નાશિકમાં મળ્યા બાદ શરદ પવારે મીડિયાને કહ્યું હતું કે ૨૬ ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ટ્રેઇનિંગ કૅમ્પ પર કરવામાં આવેલી ઍર-સ્ટ્રાઇકનો કોઈ રાજકીય લાભ લેવાની કોશિશ ન થવી જોઈએ.
ADVERTISEMENT
આ પણ વાંચો : બોગસ ડિગ્રી સર્ટિફિકેટ વેચતી ટોળકીનો પર્દાફાશ
શરદ પવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર બાલાકોટ હવાઈ હુમલા સંબંધે બેજવાબદાર નિવેદનો કરવાનો આક્ષેપ મૂકતાં કહ્યું હતું કે મેં પણ થોડા સમય માટે સંરક્ષણ મંત્રાલય સંભાળ્યું હતું અને મને જાણ છે કે મંત્રાલયની બહારના લોકોને હુમલામાં માર્યા ગયેલા લોકોના આંકડા વિશે ક્યારેય જાણ થતી નથી.