Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઈશ્વર તમને અમૃત આપશે, પણ તમે એ અમૃત માટે પાત્રતા કેળવી છે ખરી?

ઈશ્વર તમને અમૃત આપશે, પણ તમે એ અમૃત માટે પાત્રતા કેળવી છે ખરી?

20 July, 2019 12:35 PM IST | મુંબઈ
સંજયદૃષ્ટિ : સંજય રાવલ

ઈશ્વર તમને અમૃત આપશે, પણ તમે એ અમૃત માટે પાત્રતા કેળવી છે ખરી?

કૃષ્ણા

કૃષ્ણા


કર્મણયેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન।

શ્રીમદ ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને આ વાત કહી છે. કૃષ્ણએ કહ્યું છે કે તારે માત્ર કર્મ કરવાનું છે, એના ફળની અપેક્ષા તારે નથી રાખવાની. અપેક્ષા પણ નથી રાખવાની અને ફળ મળશે કે નહીં એની ચિંતા પણ તારે નથી કરવાની. કર્મ તારું કામ છે, તારી ફરજ છે, તારી ડ્યુટી છે. તું એ કર. ફળ આપવું, કેવું અને શું ફળ આપવું એ જોવાની જવાબદારી મારી છે. હું એ કરીશ, તું તારું કર્મ કર. કર્મ કરતી વખતે તું ફળની અપેક્ષા સાથે એ કર્મ કરતો હશે તો કદાચ તારું ધાર્યું ફળ તને નહીં મળે, કારણ કે માણસને પોતાનું કામ હંમેશાં શ્રેષ્‍ઠ જ લાગતું હોય છે, પણ જો તું અપેક્ષા જ નહીં રાખે અને એ અપેક્ષા વિના જ તું તારું શ્રેષ્‍ઠ આપવાની કોશિશ કરીશ, કામ કરીશ ત્યારે તેં ધાર્યું હશે એના કરતાં પણ શ્રેષ્ઠ અને ઉત્તમ પરિણામ તને મળશે. શું કામ? એટલા માટે કે એ આપવાની જવાબદારી મારી છે. એ મારે આપવાનું છે એટલે તું એક જ કામ કર, તારું કામ કર અને તારા કામને તું વળગી રહે. તું તારી ફરજમાં જો નિષ્ઠાવાન હશે તો હું મારી જવાબદારીમાં એટલો જ પ્રામાણિક રહીશ.



વાત આગળ વધારતાં પહેલાં એક આખો ખુલાસો કરી દઉં. હું કોઈ કથાકાર નથી પણ મને હંમેશાં શ્રીમદ ભગવદ્ગીતાએ આકર્ષણ આપ્યું છે. એ માટેનાં જરૂરી કારણો પણ છે, કારણ કે જગતમાં સૌથી પહેલું મોટિવેશનનું કામ જો કોઈએ કર્યું હોય તો એ કૃષ્ણ હતા. કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે અર્જુન નાસીપાસ થઈને હથિયાર હેઠાં મૂકી દે છે ત્યારે કૃષ્ણ જ તેને સમજાવે છે અને હથિયાર સાથે ફરીથી મેદાનમાં ઉતારે છે. આ શું હતું? આજે જ્યારે તમે લોકો નાસીપાસ થઈને કામ કરવાનું પડતું મૂકી દો છો અને એ પછી જે મોટિવેશનલ ગુરુ તમને નવેસરથી જોમ અને જુસ્સો આપે છે એ આ જ પ્રક્રિયા હતી. કૃષ્ણ ભગવાન હતા અને તેમનું મોટિવેશન જગતઆખાને કામ લાગે એવું હતું એટલે એનો ગ્રંથ બન્યો. દુનિયાનો પહેલો મોટિવેશનલ પ્રોગ્રામ હતો એટલે એની નોંધ સૌકોઈએ લીધી અને સૌથી મોટી વાત, જગતનું શ્રેષ્ઠ મોટિવેશન હતું એટલે એ કાયમ યાદ રહી ગયું. હું આજે પણ શ્રીમદ ભગવદ્ગીતા વાંચું છું અને એનું એક કારણ પણ છે. એ આજે પણ એટલું જ પ્રસ્તુત છે, રિલેટિવ છે. એટલું જ રિલેટિવ જેટલું હજારો વર્ષ પહેલાં હતું. આજે પણ ભગવદ્ગીતા તમે વાંચો તો એમાંથી તમને તમારી તકલીફોનો ઉકેલ એમાંથી મળી જાય. તમારો જ શું કામ, વિશ્વની મોટામાં મોટી કોઈ પણ તકલીફનો, પ્રશ્નનો જવાબ પણ તમને આ મહાન ગ્રંથમાંથી મળી જાય. આજે આપણે કોઈ ફિલોસૉફિકલ વાત નથી કરવાની. લેખની શરૂઆતમાં જે શ્લોક કહ્યો એ મને ઘણુંબધું શીખવી ગયો છે. આજે એની જ વાતો કરવાની છે, પણ એ વાતો કરીશું મારી સ્ટાઇલથી.


આપણે દરેક કામને હાથમાં લઈએ ત્યારે એક ગોલ નક્કી કરીએ છીએ કે આ વખતે હું આ કામ કરું છું અને એનું રિઝલ્ટ મને આટલા સમયમાં આ પ્રકારનું મળવું જોઈએ. બરાબરને? જવાબ હા જ છે એની મને ખબર છે એટલે આપણે હવે આગળ વધીએ.

આવી વિચારધારા સાથે તમે કામની શરૂઆત કરો છો અને સમય જતાં તમે જે ધાર્યું હોય એ પરિણામ મેળવી શકતા નથી કે એ પરિણામ આવતું નથી એટલે તમે હતાશ થઈ જાઓ છો. હવે આ વાત સાથે બીજી કન્ડિશન પણ ચેક કરીએ. ધારો કે એક મહિનો તમે જે કામ કર્યું એ કોઈ પણ જાતના આઉટપુટની ઇચ્છા રાખ્યા વગર પૂરી મહેનત અને ધગશથી કર્યું અને સાથોસાથ જ્યારે એનું ફળ મળ્યું એટલે કે આઉટપુટ આવ્યું એ તમે ધાર્યું હતું એના કરતાં હજાર ગણું સારું આવ્યું. આવું પણ બન્યું જ હોય જીવનમાં. મતલબ કે કોઈ પણ કામ તમે કરતા હો ત્યારે આઉટપુટ શું આવશે એ ક્યારેય તમારા હાથમાં નથી હોતું. તમારા હાથમાં બધી તૈયારી છે, તમારા હાથમાં બધી મહેનત છે અને તમારા હાથમાં કામ કરવાનું છે, પણ એ કામમાંથી શું બહાર આવશે એ તો નક્કી નથી, નથી અને નથી જ. તમે દરેક વખતે તૈયારી કરો ત્યારે એ નક્કી હોય છે કે એનું પરિણામ આવશે, પણ તમારા ધાર્યા  પ્રમાણેનું આવશે એ નક્કી નથી. જે વિષયની એક્ઝામ તૈયારી કર્યા વગર જ આપી હોય એમાં ડિસ્ટિંક્શન આવે અને જેની તૈયારી આખું વર્ષ કરી હોય એમાં ૩૫ જ માર્ક આવે એવું પણ બને. આ જ વાત કામના દૃષ્‍ટિકોણ સાથે પણ લાગુ પડે. જે કામ કરવા માટે તમે હંમેશાં માટે તૈયાર હો અને કરવા જાઓ ત્યારે જ કંઈક એવું બને કે તમે એ કામ ન કરી શકો. આવું બધાના જીવનમાં બને છે, જેનો જવાબ આ શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણએ આપ્યો છે.


કર્મણયેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન।

કામ કરવું એ જ આપણા હાથમાં હોય છે એટલે પરિણામની દિશામાં જવાને બદલે કામની દિશામાં જ આગળ વધવું જોઈએ. ફળની આશાએ કામ કરનારાઓને હંમેશાં ફળ ઓછું કે મોડું મળ્યું એવું જ લાગતું હોય છે, પણ જો ફળની આશા જ રાખવામાં ન આવી હોય અને ફળ આપવામાં આવે તો એનો આનંદ બદલાઈ જતો હોય છે. સીધી વાત છે, તમે નોકરીએ જઈને પહેલા જ દિવસે એવું કહો કે મને સૅલેરી આપો તો કોઈ આપે ખરું? ના. ન જ આપે. ઊલટું કંપની કાઢી મૂકે. એનો સીધો અર્થ એટલો જ કે મહેનત કરવાનું તમારા હાથમાં છે, એટલે મહેનત કરો અને એ કરી લીધા પછી જેકોઈ ફળ મળવાનું હોય એનો સ્વીકાર કરો. ફળ ક્યારેય કોઈ નાનું નથી હોતું, પણ ફળની અપેક્ષા એને મોટું બનાવી દે છે અને એટલે જ્યારે અપેક્ષા સાથે કામ થાય છે ત્યારે ફળ નાનું લાગવા માંડે છે. મેં અઢળક લોકો એવા જોયા છે જે કામ કરે છે અને પછી ધાર્યું પરિણામ નથી મળતું એટલે કામને છોડી દે છે. ભલામાણસ, ધાર્યું પરિણામ તમે કેવી રીતે નક્કી કરી શકો? યાદ રાખવાનું હંમેશાં કે તમારા કામના જજ તમે નથી જ નથી. બીજાના કામના તમે જજ હોઈ શકો, પણ તમે તમારા કામના જજ બનો તો એ નહીં ચાલે. તમારે પરિણામની અપેક્ષા છોડીને જ વિચારવું પડશે અને સામેની વ્યક્તિ પર પૂરો ભરોસો રાખવો પડશે.

આ જ વાત ભગવદ્ગીતાના પ્રસ્તુત શ્લોકમાં કહેવામાં આવી છે. જો પૂરી નિષ્ઠાથી, ધગશથી અને મહેનતથી કરશો તો એનું ફળ તમને મળશે જ અને જે પણ મળશે એ આજે નહીં તો કાલે સારું જ હોવાનું, પણ તમે કામની શરૂઆતથી જ જો માત્ર ધાર્યું ફળ મેળવવાની દૃષ્ટિએ કરશો તો ક્યારેય એ ધાર્યું ફળ તમને મળવાનું નથી. મળશે પણ એ ફળ તમને નાનું કે ઓછું જ લાગશે. કામ કરો અને જે કામ કરો એ પૂરી પ્રામાણિકતા સાથે કરો. પ્લાનિંગ, પ્રૉપર હોમવર્ક અને ડેડિકેશન એમાં હોવાં જોઈએ. કામ પહેલાં, પર્ફેક્શન સાથેના કામ પહેલાં જો તમને બૉસ સૅલેરી ન આપતા હોય તો ઉપર બેઠો છે એ ૧૦૦૦ હાથવાળો બૉસ તમને સૅલેરી કેવી રીતે આપે. માર્કેટિંગ સાથે જોડાયેલા સૌકોઈને ખબર છે કે આપવામાં આવેલા ટાર્ગેટ કરતાં તમારે દસ ગણું વધારે અચીવ કરવું પડે તો જ સૅલેરી અને બોનસ કે ઇન્સેન્ટિવ આવે છે. નહીં તો પેલો કપિલ શર્મા કહે છે એવું મળે હાથમાં, બાબાજી કા ઠુલ્લુ. અને જો એ ન જોઈતું હોય તો તમારે તમારી જાતને તો સક્ષમ બનાવવાની છે. ઈશ્વર તો તમને અમૃત જ આપવા માગે છે, પણ તમારે તમારી પાત્રતા એ અમૃતને લાયક બનાવવાની છે અને જો એ બનશે તો જ તમે તમારી જાતની સાચી મુલવણી કરી એવું કહી શકશો.

તો હવે અપેક્ષા પડતી મૂકો અને પૂરા મનથી, ખંતથી લાગી પડો.

ઑલ ધ બેસ્ટ

Whatsapp-channel Whatsapp-channel

20 July, 2019 12:35 PM IST | મુંબઈ | સંજયદૃષ્ટિ : સંજય રાવલ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK