રવિશંકર પ્રસાદે મંદી પરનું નિવેદન પાછું ખેંચી લીધું
રવિશંકર પ્રસાદ
કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે અર્થવ્યવસ્થામાં મંદી પર આપેલા પોતાના નિવેદનને પરત લઈ લીધું છે. રવિશંકર પ્રસાદે શનિવારે અર્થવ્યવસ્થામાં મંદીની વાતને સમગ્રપણે ફગાવી દીધી હતી અને પોતાની વાતને પુરવાર કરવા માટે તેઓએ ફિલ્મોની કમાણીનો સહારો લીધો હતો. રવિશંકર પ્રસાદે કહ્યું છે કે ૨ ઑક્ટોબરે રિલીઝ થયેલી ત્રણ ફિલ્મોએ ૧૨૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. અર્થવ્યવસ્થા મજબૂત છે ત્યારે જ ફિલ્મોએ આટલી કમાણી કરી છે.
રવિશંકર પ્રસાદે કહ્યું કે સોશ્યલ મીડિયા પર પ્રેસ કૉન્ફરન્સનો સમગ્ર વીડિયો ઉપલબ્ધ છે. તેમ છતાં મને એ જાણીને દુઃખ છે કે મારા નિવેદનનો એક હિસ્સો તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યો છે. હું એક સંવેદનશીલ વ્યક્તિ છું, તેથી હું મારું નિવેદન પરત લઉં છું.
મોદી સરકારમાં કાયદા મંત્રાલયની જવાબદારી સંભાળનારા રવિશંકર પ્રસાદે શનિવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં બેરોજગારી અને અર્થવ્યવસ્થામાં સુસ્તીને પૂરી રીતે ફગાવી દીધી હતી. તેઓએ અર્થવ્યવસ્થામાં સુસ્તીથી ઇનકાર કરતાં કહ્યું કે મારો ફિલ્મો સાથે લગાવ છે. ફિલ્મો મોટો કારોબાર કરી રહી છે.