વસઈ-વિરારમાં બે સગીરાઓ પર બળાત્કાર
પ્રતીકાત્મક તસવીર
વસઈ વિરાર પટ્ટામાં તાજેતરમાં બે ૧૭ વર્ષની સગીરાઓ પર બળાત્કાર થવાની ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું. જુદા-જુદા બન્ને કેસમાં પોલીસે પીડિતા કિશોરીઓની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. હજી સુધી આરોપીઓ હાથ નથી લાગ્યા.
પોલીસના જણાવ્યા મુજબ નાયગાવના ચિંચોટી ગામમાં રહેતી ૧૭ વર્ષની કિશોરીએ વાલીવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે સાતીવલીમાં રહેતા એક યુવકે તેની ઉપર પોતાના કાકાના ઘરમાં લગ્ન કરવાનું કહીને બળાત્કાર ગુજાર્યો હતો. તેણે અશ્લીલ ફોટો અને વિડિયો દ્વારા પોતાને બ્લૅકમેલ કરીને ત્યાર બાદ પણ એકથી વધુ વખત પોતાની વાસનાનો શિકાર બનાવી હતી. આ સંબંધથી પોતે પ્રેગ્નન્ટ બનતાં યુવકે પોતાને ત્યજી દીધી હતી અને પલાયન થઈ ગયો હતો.
વાલીવ પોલીસે આરોપી સામે બળાત્કાર સહિતની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.
આવી જ રીતે વિરાર (ઈસ્ટ)માં મનવેલપાડા વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની કિશોરીને નારંગી ગામમાં રહેતા યુવકે પણ લગ્ન કરવાની લાલચ આપીને એકથી વધુ વખત બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ કિશોરીએ વિરાર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. યુવક પોતાના ઘરે આવીને બળાત્કાર કરતો હોવાનો આરોપ કિશોરીએ મૂક્યો છે. કિશોરી પ્રેગ્નન્ટ થતાં તેણે આ બાબતે પોતાના પરિવારજનોને કહેતાં તેમણે યુવક સામે વિરાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને આરોપીને પકડવાનો પ્રયાસ હાથ ધર્યો હોવાનું જાણવા મળ્યું હતું.