રાજનાથ સિંહે ચીનને આપી વળતી વૉર્નિંગ
અરુણાચલ પ્રદેશના તવાંગમાં મૅક્મોહન રેખાની સમાંતરે માગો-થિંગબુથી ચાંગલાંગ જિલ્લામાંના વિજયનગર સુધી ભારતના રોડ-નેટવર્કના નિર્માણ બાબતે રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ‘સીમા બાબતે અમારું વલણ એકદમ સ્પષ્ટ છે. અમે જે નક્કી કર્યું છે એ અમે કરીશું જ. બીજા કોઈએ એમાં દખલ કરવાની જરૂર નથી.’
ચીનના વિદેશ વિભાગના પ્રવક્તાના નિવેદનના પ્રતિભાવમાં રાજનાથ સિંહે એમ પણ કહ્યું હતું કે ‘ભારત શાંતિપ્રિય દેશ છે, પણ આપણા દેશની સલામતી બાબતે કોઈ સમસ્યા સર્જાશે તો એનો જડબાતોડ જવાબ આપવા અમે તૈયાર છીએ.’
સીમાવિવાદને મંત્રણા દ્વારા ઉકેલવાનો આગ્રહ કરતાં રાજનાથ સિંહે કહ્યું હતું કે ‘હવે આખી દુનિયા ગ્લોબલ વિલેજ બની ગઈ છે. કોઈને એકબીજા સાથે બાખડવાનો સમય નથી. ભારત અને ચીન વચ્ચેનો સીમાવિવાદ પણ મંત્રણા દ્વારા જ ઉકેલી શકાય એમ છે અને ચીને મંત્રણા માટે પહેલ કરવી જોઈએ એમ હું માનું છું.’
બીજિંગને ચેતવણી આપતાં રાજનાથે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ‘વાતાવરણ બગડે એવું કંઈ પણ ચીને કરવું ન જોઈએ. ભારતની નીતિ ક્યારેય વિસ્તારવાદી નથી રહી. ભારતે કોઈ દેશ પર ક્યારેય પહેલું આક્રમણ નથી કર્યું. કોઈ પણ સમસ્યાને મંત્રણા વડે ઉકેલવામાં આવે એવું અમે ઇચ્છીએ છીએ.’