કરતારપુરથી પાકિસ્તાન કરોડો રૂપિયા કમાશે, વ્યક્તિદીઠ લેશે ૨૦ ડૉલર્સની ફી
કરતારપુર કૉરિડોર
સિખોના ગુરુ નાનકદેવની ૫૫૦મી જયંતી નિમિત્તે દુનિયાભરના સિખો પાકિસ્તાનમાં આવેલા કરતારપુર ગુરુદ્વારા આવી રહ્યા છે. આ યાત્રાળુઓના આગમનથી પાકિસ્તાન કરોડો રૂપિયાની કમાણી કરશે.
અગાઉ એવી જાહેરાત કરાઈ હતી કે ૧૨ નવેમ્બરે ગુરુ નાનકની જયંતી નિમિત્તે કરતારપુર આવનારા યાત્રાળુઓ પાસે કોઈ ફી લેવામાં નહીં આવે, પરંતુ અત્યારે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ દેવાળિયા જેવી છે એટલે વડા પ્રધાન ઇમરાન ખાનના નિઃશુલ્ક મુલાકાતના આદેશને પાકિસ્તાની લશ્કરે ફગાવી દીધો હતો અને યાત્રાળુદીઠ વીસ અમેરિકી ડૉલર્સની ફી લાગુ પાડી હતી.
કરતારપુર હાલ પાકિસ્તાનમાં આવેલા પંજાબના નારોવાલ જિલ્લામાં આવેલું છે. સિખોના પ્રથમ ગુરુ નાનકદેવે પોતાની જીવનસંધ્યા અહીં ગુજારી હતી અને અહીં જ દેહત્યાગ કર્યો હતો. એમનાં માતા-પિતાએ પણ દેહત્યાગ અહીં કર્યો હતો. આવરદાનાં છેલ્લાં સત્તર અઢાર વર્ષ નાનકદેવ અહીં રહ્યાં હતાં.
ત્યારબાદ અહીં ગુરુદ્વારા દરબાર સાહિબ કરતારપુર એવું તીર્થ સ્થપાયું હતું. આ ૧૨ નવેમ્બરે ગુરુ નાનકનો ૫૫૦મો જન્મદિવસ છે એટલે દુનિયાભરમાંથી સિખ શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે આવશે. ભારત-પાકિસ્તાન સરહદથી આ સ્થળ માત્ર ચાર કિલોમીટર દૂર છે. આ પ્રકાશપર્વ લગભગ આખું વર્ષ ઊજવાશે એેટલે પાકિસ્તાનને કુલ ૨૫૭ કરોડ રૂપિયાની આવક વ્યક્તિદીઠ માત્ર વિઝાની વીસ ડૉલર્સની ફી દ્વારા થશે.
કરતારપુર પર ભારતે બૉમ્બ ફેંક્યા હતા
સિખોના પ્રથમ ગુરુ નાનકદેવની ૫૫૦મી જયંતી ટાણે સિખોને ભારતવિરોધી ઉશ્કેરવા પાકિસ્તાન કેવો ઝેરીલો પ્રચાર કરી રહ્યું છે એનો એક બોલતો પુરાવો બીજેપીના નેતા તેજિંદર સિંઘે ટ્વિટર પર મૂક્યો હતો. આ ફોટોગ્રાફમાં જોઈ શકાય છે કે કરતારપુર ગુરુદ્વારાની બહાર એક બોર્ડ મૂકવામાં આવ્યું છે જેના પર લખ્યું છે ‘વાહી ગુરુનો ચમત્કાર’ ત્યારબાદ એવું જૂઠાણું લખવામાં આવ્યું છે કે ૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે ભારતીય લશ્કરે અને ખાસ તો ભારતીય હવાઈ દળે કરતારપુર દરબાર સાહિબ ગુરુદ્વારા પર બૉમ્બમારો કર્યો હતો. દરબાર સાહિબને જરા પણ નુકસાન ન થયું. પોતાના ખેતરો માટે ગુરુ નાનક સાહેબ આ પવિત્ર સ્થળેથી પાણી લેતા હતા. આ ફોટો મૂકીને તેજિંદર સિંઘે લખ્યું છે કે કૂતરાની પૂંછડી સીધી કરી શકો છો પરંતુ પાકિસ્તાનની બદમાશી દૂર કરી શકાય નહીં. આ એક ખોટો અને ઝેરીલો પ્રચાર છે ભારત વિરુદ્ધ. સિખોએ એ તરફ જોવાની જરૂર નથી. પાકિસ્તાન સતત જૂઠાણાં આચરતું અને બોલતું રહ્યું છે. પાકિસ્તાન પાસે સત્યની અપેક્ષા રાખી શકાય નહીં.