ટ્રાન્સહાર્બર પર દોડતી એસી લોકલ ટ્રેન સંદર્ભે પ્રવાસીઓને મૂંઝવણ
મુસાફરો
મધ્ય રેલવેના ટ્રાન્સહાર્બર લાઇન પર એસી લોકલની શરૂઆત તો થઈ ગઈ, પણ હજી સુધી હાર્બરલાઇનના પ્રવાસીઓ સાધારણ અને એસી લોકલની વચ્ચેના અંતરને સમજી નથી શક્યા. એસી લોકલ ટ્રેન જેવી સ્ટેશન પર પહોંચે છે, એટલી જ ઉત્સુકતાથી પ્રવાસીઓ એ લોકલ ટ્રેનમાં ચડી જતા હોય છે. તેઓને ત્યારે પોતાની ભૂલ સમજાય છે, જ્યારે કોચમાં હાજર ટીસી તેઓની એ કોચમાંથી હકાલપટ્ટી કરે છે. જોકે ટીસીને પણ એ વાતની ખબર છે કે પ્રવાસીઓ ભૂલથી એસી કોચમાં ચડતા હોય છે, એટલે જ પ્રવાસીઓ પાસેથી દંડ લેવાને બદલે તેને સમજાવીને સાધારણ કોચમાં જવા માટે કહેવામાં આવે છે.
બે દિવસ પહેલાં જ એક વિડિયો વાઇરલ થયો હતો, જે કોપરખૈરણે સ્ટેશનનો હતો. કોપરખૈરણે સ્ટેશન પર એસી લોકલ પહોંચી કે અનેક પ્રવાસીઓ એસી લોકલ ટ્રેનમાં ચડવા માટે ઉત્સુક હતા, પણ ટીસી જ્યારે વિના ટિકિટ પ્રવાસ કરતા પ્રવાસીઓને ઉતારી રહ્યા હતા ત્યારે ટ્રેનમાં ચડવા માટે ઉત્સુક પ્રવાસીઓને માલૂમ થયું કે તેઓ ખોટા કોચમાં ચડી રહ્યા છે.
ADVERTISEMENT
હાર્બરલાઈન પર યાત્રા કરનારા પ્રવાસીઓને રેલવેએ જાગરૂક કરવા જોઈએ. અનેક પ્રવાસીઓને એસી લોકલ ટ્રેનનાં ભાડાં અને તેની ખૂબીઓ અંગેની જાણકારી નથી હોતી. અત્રે ઉલ્લેખનીય છે કે મધ્ય રેલવેના ટ્રાન્સહાર્બર માર્ગ પનવેલથી થાણે સુધી એસી લોકલ ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે, જેને પ્રવાસીઓ તરફથી ઉત્તમ પ્રતિસાદ સાંપડી રહ્યો છે.