કૅનન પાંઉભાજીમાંથી 100 કિલો માખણ અને ચીઝની ચોરી
કૅનન પાંઉભાજી
કોવિડ-19 મહામારીને કારણે શહેરના મોટા ભાગના વ્યવસાયો બંધ હોવા છતાં ચોરો અને ધાડપાડુઓ આ સ્થિતિનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. ગયા અઠવાડિયે દક્ષિણ મુંબઈનું પ્રખ્યાત કૅનન પાંઉભાજી સેન્ટર ચોરોનું નિશાન બન્યું હતું. કેટલાંક અસામાજિક તત્ત્વો ઈટરીમાં ઘૂસી ગયા હતા અને વાસણોથી માંડીને લગભગ બધું સાફ કરી ગયા હતા.
લૉકડાઉનને કારણે ઈટરી છેલ્લા ચાર મહિનાથી બંધ છે. ૮૨ વર્ષના માલિક પી. એન. દાંડેકરે જણાવ્યું હતું કે ‘૨૬ જુલાઈએ મને ફોન આવ્યો કે કોઈએ ઈટરીની પાછળ લોખંડની ગ્રિલ વાળી દીધી હતી. હું ઈટરીમાં ગયો અને શટર ખોલીને જોયું તો લગભગ બધું જ ચોરાઈ ગયું હતું. મારું માનવું છે કે ચોર ટેમ્પો લઈને આવ્યા હોવા જોઈએ, કારણ કે તેમણે એક પણ વસ્તુ છોડી નથી. માત્ર ફ્રિજ અને પ્લૅટફૉર્મ સિવાય બધું જ ઉઠાવી ગયા.’
ADVERTISEMENT
૨૬ જુલાઈએ તેમણે આઝાદ મેદાન પોલીસ-સ્ટેશન ખાતે નોંધાવેલી ફરિયાદ મુજબ આશરે 80-90 વાસણો, મિક્સર-ગ્રાઇન્ડર, 80 કિલો બટર અને 20 કિલો ચીઝ મળીને આશરે એક લાખ રૂપિયાની ચોરી થઈ છે. કૅનન પાંઉભાજી સેન્ટરની સ્થાપના 48 વર્ષ અગાઉ થઈ હતી અને એ બીએમસી હેડક્વૉર્ટરની બરાબર સામે આવેલાં અગ્રણી જૉઇન્ટ્સ પૈકીનું એક છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે મે મહિનામાં કૅનન પાંઉભાજી સેન્ટરમાં ચોરીનો બનાવ બન્યો હતો, પરંતુ મામૂલી ચોરી થઈ હોવાથી માલિકે ફરિયાદ નોંધાવી નહોતી.