મુંબઈ : બોરીવલીમાં ૩ વર્ષની બાળકી પર બળાત્કાર
પ્રતીકાત્મક તસવીર
બોરીવલી-ઈસ્ટના સંજય ગાંધી નૅશનલ પાર્કની અંદર આવેલા આદિવાસી પાડામાં રહેતી ૩ વર્ષની બાળકી પર તેની પાડોશમાં જ રહેતા બે છોકરાઓએ કથિત રીતે બળાત્કાર ગુજાર્યો હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી બન્ને સગીર છોકરાઓને બાળસુધાર ગૃહમાં મોકલી આપ્યા છે.
આ ઘૃણાસ્પદ ઘટના વિશે કસ્તુરબા માર્ગ પોલીસ સ્ટેશનના એપીઆઇ રણજિત ચવાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બાળકી પર કરાયેલા બળાત્કારની એ ઘટના બુધવારે બની હતી. પીડિત બાળકી તેના પરિવાર સાથે સંજય ગંધી નૅશનલ પાર્કની અંદર આવેલા આદિવાસી પાડામાં રહે છે. બુધવારે તેનાં માતા–પિતા કામ પર ગયાં હતાં ત્યારે પાડોશમાં રહેતા ૯ અને ૧૧ વર્ષના કિશોરો બાળકીને પોતાના ઘરમાં લઈ ગયા હતા અને તેની પર કથિત બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ બાળકીને એ ઘટના વિશે કોઈને પણ ન જણાવવાની ધમકી આપી હતી. બાદમાં બાળકીને પેટમાં સખત દુખાવો રહેતા તેણે એ વિશે સાંજે તેનાં માતા-પિતાને જાણ કરતાં માતા-પિતાએ પૂછપરછ કરી ત્યારે તેણે તેની સાથે બનેલી ઘટના જણાવી દીધી હતી. એથી માતા-પિતા તેને લઈને કસ્તુરબા પોલીસ સ્ટેશન આવ્યાં હતાં અને ગુરુવારે કેસ નોંધાયો હતો.
ADVERTISEMENT
ફરિયાદ નોંધ્યા બાદ અમારી ટીમે બન્ને આરોપી કિશોરોને તાબામાં લઈ તેમની સામે બળાત્કાર અને પોસ્કો (પ્રોટેકશન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ અૅક્ટ) હેઠળ ગુનો નોંધ્યો હતો. જોકે બન્ને આરોપી સગીર વયના હોવાથી તેમને બાળ ન્યાયાલયમાં હાજર કરાયા હતા. કોર્ટે તેમને બાળ સુધારગૃહમાં મોકલી આપ્યા હતા. અત્યારે પીએસઆઇ રામચંદ્ર દત્તાત્રય શેંડગે કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે.’