મોદી અને કેજરીવાલે અન્નાનો ઉપયોગ કરી લીધો : રાજ ઠાકરે
રાજ ઠાકરે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે અન્ના હઝારેનો ઉપયોગ કરી લીધો છે એવી જોરદાર ટીકા કરતાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ ગઈ કાલે રાળેગણ સિદ્ધિમાં કહ્યું હતું કે ‘આ ર્નિલજ્જ સરકાર છે. અહીં માણસોને વાપરીને ફેંકી દેવામાં આવે છે. અત્યારે અન્ના મરવા પડ્યા છે, પરંતુ બન્નેમાંથી એકેય તેમને જોવા પણ આવ્યા નથી. મનમોહન સિંહ વડા પ્રધાન હતા ત્યારે લોકપાલની નિયુક્તિ થવી જ જોઈએ એવી માગણી કરનારા લોકો અત્યારે કેમ લોકપાલ નિયુક્ત કરતા નથી?’
MNSના અધ્યક્ષ રાજ ઠાકરેએ ઉપવાસ પર બેસેલા સામાજિક કાર્યકર્તા અન્ના હઝારેની ગઈ કાલે રાણેગળ સિદ્ધિ ખાતે મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ રાજ ઠાકરેએ પોતાના ઇન્ટાગ્રામ અકાઉન્ટ પર એક ફોટો શૅર કર્યો હતો અને લખ્યું હતું કે ‘મેં અન્નાને કહ્યું કે હવે વધુ તાણશો નહીં. આ નકામા સત્તાધીશો માટે તબિયત લથડી પડે એવું કંઈ કરશો નહીં. ચલો ભેગા મળીને સરકારને પાડી દઈએ. અન્ના તમારા આંદોલનને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનો ટેકો છે.’
ADVERTISEMENT
અન્ના હઝારે છેલ્લા છ દિવસથી ઉપવાસ પર બેઠા છે. લોકપાલ બિલ પાસ કરવાની અને લોકાયુક્ત નીમવાની માગણી સાથે આંદોલન પર બેસેલા અન્ના હઝારેની મુલાકાત લેવા રાણેગળ સિદ્ધિ ખાતે ગઈ કાલે રાજ ઠાકરે પહોંચ્યા હતા. રાજે અન્નાને તબિયત સાચવવાની સલાહ આપીને આંદોલન બાબતે ચર્ચાઓ કરી હતી.
આ પણ વાંચો : 10 વર્ષના કુમળા બાળકને અભડાવવાનો 92 વર્ષના વૃદ્ધે કર્યો દુષ્પ્રયાસ
અન્ના હઝારેના આંદોલનને કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અને લોકો આજે સત્તામાં છે એમ જણાવીને રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘સત્તા મળ્યા બાદ આશ્વાસનો ભુલાઈ ગયાં છે. ભારતીય જનતા પાર્ટી, કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી આ તમામ લોકો ઢોંગી છે. તેઓ માણસોનો ઉપયોગ કરીને છોડી દે છે. અન્ના જીવે છે કે મરી ગયા એની આ લોકોને ચિંતા નથી.’