મહારાષ્ટ્ર સરકારને જોઈએ છે ઇકબાલ મિર્ચીનો તાબો
ADVERTISEMENT
૬૧ વર્ષનો ઇકબાલ મેમણ ઉર્ફે ઇકબાલ મિર્ચી આંતરરાષ્ટ્રીય આતંકવાદી દાઉદ ઇબ્રાહિમનો ખાસ માણસ હોવાનું કહેવાય છે. ૧૯૯૩ના શહેરમાં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બધડાકા અને ડ્રગ્સ સંબંધિત ગુનામાં તે વૉન્ટેડ છે. સીબીઆઇનાં સૂત્રોએ કહ્યું હતું કે ઇન્ટરપોલના માધ્યમથી બ્રિટનની પોલીસનો સંપર્ક કરવામાં આવશે અને ડિપ્લોમેટિક ચૅનલ મારફત કસ્ટડી મેળવવામાં આવશે.
મિર્ચીનો ભોપાલમાં ભવ્ય બંગલો
૧૯૯૩ના મુંબઈના શ્રેણીબદ્ધ બૉમ્બધડાકાના આરોપી અને લંડનમાં ધરપકડ કરાયેલા ગૅન્ગસ્ટર ઇકબાલ મિર્ચીનો ભોપાલમાં ભવ્ય બંગલો શહેરના અપર લેક વિસ્તારમાં આવેલો છે, જેની અંદાજિત બજારકિંમત ૧૦ કરોડ રૂપિયા છે. નાદિર કૉલોનીમાં ૧૦,૦૦૦ ચોરસફૂટનો બંગલો અંગ્રેઝન બંગલો તરીકે ઓળખાય છે. સુપ્રીમ ર્કોટે આપેલા આદેશ બાદ ૨૦૦૪-’૦૫માં બંગલો જપ્ત કરવામાં આવ્યો હતો અને ૨૦૦૭માં એની હરાજી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગુલશનકુમાર હત્યાકેસના એક આરોપી અનિલ શર્મા ઉર્ફે અબદુલ્લાનો મૃતદેહ ૧૧ માર્ચ ૧૯૯૮ના રોજ આ બંગલામાંથી મળ્યો હતો.
પ્રત્યાર્પણની કાર્યવાહી શરૂ
દાઉદ ઇબ્રાહિમના સાથીદાર તથા ૧૯૯૩માં મુંબઈમાં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં વૉન્ટેડ ઇકબાલ મેમણ ઉર્ફે ઇકબાલ મિર્ચીની ગઈ કાલે સ્કૉટલૅન્ડ યાર્ડ (લંડનની પોલીસ) દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. ૬૧ વર્ષનો ઇકબાલ મુંબઈ સિરિયલ બ્લાસ્ટ ઉપરાંત ડ્રગ્સની હેરાફેરીના કેસમાં પણ વૉન્ટેડ છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ગઈ કાલે કહ્યું હતું કે ‘ઇકબાલ મિર્ચી સામે રેડ કૉર્નર નોટિસ જાહેર કરાયેલી છે અને આ નોટિસ આગળ પણ ચાલુ રહેશે એટલે ભારત તેના પ્રત્યાર્પણની માગણી કરી શકશે અને આ માટે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.’