મહારાષ્ટ્રમાં ૨૦૧૨ કરતાં દુકાળની સ્થિતિ વધુ ગંભીર અને ભયાનક
કેન્દ્ર સરકારના ખેતીવાડી ખાતાના ઍડિશનલ સેક્રેટરી પ્રવેશ શર્માના નેતૃત્વમાં કેન્દ્રીય સર્વેક્ષણ ટુકડીએ તૈયાર કરવામાં આવેલા અહેવાલમાં ૨૦૧૨ના દુકાળ કરતાંયે ગંભીર સ્થિતિ હોવાનો નિષ્કર્ષ કાઢ્યો હતો.
ગયા મહિનામાં રાજ્ય સરકારે ૧૯ હજાર ગામડાંને દુકાળગ્રસ્ત જાહેર કર્યા હતાં. હવે કેન્દ્રીય ટુકડી દ્વારા નવેસરથી સર્વેક્ષણ કરવામાં આવતાં દુકાળગ્રસ્ત ગામોની યાદીમાં લગભગ ૫૭૦૦ ગામોનાં નામ વધે એવી શક્યતા છે. આ પાશ્વર્ભૂમિમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રવેશ શર્માને મળીને રાજ્યની સ્થિતિ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.
૧૯,૦૦૦ ગામડાં માટે રાજ્ય સરકારે મોકલેલા મેમોરેન્ડમમાં કેન્દ્ર સરકાર પાસે ૩૯૨૫ કરોડ રૂપિયાની માગણી કરી હતી. સર્વેક્ષણ બાદ દુકાળગ્રસ્ત ગામોની સંખ્યામાં ૫૭૦૦નો વધારો કરવામાં આવ્યો હોવાથી આખરી અહેવાલમાં પણ એનો ઉમેરો કરવામાં આવશે. હવે સુધારિત મેમોરેન્ડમ મોકલ્યા પછી કેન્દ્ર સરકારની ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠકમાં રાજ્યને આપવામાં આવનારી સહાય વિશે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
પાક નિષ્ફળ જતાં પાલઘરમાં ખેડૂતની આત્મહત્યા
પાલઘર જિલ્લામાં ગઈ કાલે પાક નિષ્ફળ જતાં ૪૯ વર્ષના રમેશ પાષ્ટે નામના ખેડૂતે ઝેર પીને આત્મહત્યા કરી હતી. તેણે ક્રેડિટ કો-ઑપરેટિવ સોસાયટી પાસેથી ૫૦,૦૦૦ રૂપિયાની લોન લીધી હતી અને એ માટે સોનાના દાગીના ગીરવે મૂક્યા હતા.
યવતમાળમાં કેન્દ્રીય ટુકડી સામે સૂત્રોચ્ચાર ને રસ્તારોકો
અકોલા અને ઉસ્માનાબાદમાં કેન્દ્રની દુકાળ સર્વેક્ષણ ટુકડીએ રાતે મોડેથી ટ્રૅક્ટરની હેડલાઇટના પ્રકાશમાં દુકાળનું સર્વેક્ષણ કર્યું એની સર્વત્ર ટીકા કરવામાં આવી હોવા છતાં યવતમાળમાં એનું પુનરાવર્તન થયું. યવતમાળમાં નાગેશવાડી ખાતે સાંજે સાડાચાર વાગ્યે કેન્દ્રીય ટુકડી સર્વેક્ષણ માટે પહોંચવાની હતી પણ એ સાડાસાત વાગ્યે પહોંચી એથી નાગેશવાડીના ખેડૂતો રોષે ભરાયા અને જોરદાર સૂત્રોચ્ચાર કરતાં નાગપુર-તુળજાપુર સ્ટેટ હાઇવે પર રસ્તારોકો આંદોલન કર્યું હતું.