દેશના જવાનો દુશ્મનોનાં ઘરમાં ઘૂસીને મારે છે: અમિત શાહનો ધોરડોમાં હુંકાર
ધોરડોના મા આશાપુરાના મંદિરમાં અમિત શાહ. તસવીર : પી.ટી.આઈ
ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે કચ્છના રણમાં ટેન્ટ સિટીમાં સીમા ક્ષેત્ર પાસે ‘વિકાસોત્સવ ૨૦૨૦’નું ઉદ્ઘાટન કર્યું. દેશની પાકિસ્તાનને જોડતી પશ્ચિમી સરહદે ભુજ તાલુકાના ધોરડો ખાતે ગૃહપ્રધાન અમિત શાહે ત્રણ જિલ્લાના સરહદી ગામોના સરપંચો સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદમાં અમિત શાહે કહ્યું કે ‘મા આશાપુરાના આશીર્વાદથી સીમા સુરક્ષિત છે. ઘણા સમય પછી ભુજ આવ્યો છું. કચ્છનું નવું સ્વરૂપ જોઈ બહુ સંતોષ થયો. સંપૂર્ણ યશ વડા પ્રધાન મોદીને જાય છે. પહેલાં ભુજ પનિસમેન્ટ પોસ્ટિંગ માટે ઓળખાતું હતું. આજે ભુજમાં પોસ્ટિંગ મેળવવા લાઇન લાગે છે. દેશની બધી સીમા પર વિકાસ ઉત્સવ થશે.’
આ ઉપરાંત ગૃહપ્રધાને કહ્યું કે ‘દેશના જવાનો દુશ્મનોને જડબાતોડ જવાબ આપે છે. એટલું જ નહીં, દુશ્મનોનાં ઘરમાં ઘૂસીને મારે છે. સરહદ પર દરેક નાગરિકમાં જાગૃતિ જરૂરી છે. બીએસએફના જવાનો પણ દુનિયાની સૌથી મોટી તાકાત સામે આંખોમાં આંખો નાખીને છાતી કાઢીને જવાબ આપવા સક્ષમ છે.’