સુરક્ષા અને સાફસફાઈ માટે સ્ટેચ્યુ ઑફ યુનિટીનું મૉડિફિકેશન કરાશે
સ્ટેચ્યુ ઑફ યુનિટી
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીમાં પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં તંત્ર તરફથી અમુક મૉડિફિકેશન કરવામાં આવનાર છે. આ સાથે જ સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમાની બહારથી સફાઈ થાય તેવું પણ આયોજન છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરદારની પ્રતિમા ખુલ્લી મૂક્યા બાદ દરરોજ હજારોની સંખ્યામાં લોકો કેવડિયા કૉલોની પહોંચી રહ્યા છે.
તંત્ર તરફથી આગામી દિવસોમાં વધારે પ્રવાસીઓને આકર્ષવા માટે કેવડિયા ખાતે જંગલ સફારી પાર્ક, બટરફ્લાય પાર્ક, ચિલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્ક, એકતા નર્સરી સહિતનાં આકર્ષણો ઉમેરાયાં છે. મળતી માહિતી પ્રમાણે વ્યુઇંગ ગૅલરી (અહીંથી પ્રવાસીઓ નર્મદા ડેમનો નજારો માણે છે)માં આવતા પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્ટેચ્યુ ઑફ યુનિટીમાં અમુક મૉડિફિકેશન થશે. સફાઈ તેમ જ જાળવણીની કામગીરી માટે સરદાર પટેલની પ્રતિમાના છાતીના ભાગે બ્રોન્ઝ મેટલની ૧*૧ મીટરની ૧૦ બારીઓ અને માથાના ભાગે ૧ એમની ૧૧ બારીઓ બનાવવાનું કામ ચાલી રહ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : અમદાવાદ-રાજકોટ સેમી હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટને મળી મંજુરી, હવે 2 કલાકમાં પહોંચશે રાજકોટથી અમદાવાદ
સરદાર પટેલની પ્રતિમાની છાતીના તેમ જ મસ્તકના ભાગે બારી મૂકવા માટે સૌ પહેલાં વેલ્ડિંગથી પ્રતિમાનો અમુક ભાગ કાપવામાં આવશે જે બાદ કાપેલા ભાગને ક્લેમ્પથી ફરીથી જોડી દેવાશે. એટલે કે પ્રતિમાના સ્ટ્રક્ચરમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે પરંતુ જરૂર પડે ત્યારે બહારથી સફાઈ કરી શકાય તે માટે ક્લેમ્પ લગાવીને બારીઓ મૂકવામાં આવશે.