દીકરી દેવો ભવ
પ્રતીકાત્મક તસવીર
રાજકોટ : શાસ્ત્રોક્તમાં નવમા નોરતે કન્યાપૂજનનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. આ મહત્ત્વને સાર્થક કરવા માટે ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનાં પત્ની અંજલિ રૂપાણીએ રાજકોટના તુલસીબાગ આંગણવાડીમાં સાક્ષાત દેવી કહેવાય એવી નાની બાળાની પૂજા કરીને સરકારના ‘કન્યા બચાવો અને કન્યા કેળવણી’ની યોજનાને નવતર રીતે વેગ આપવાનો પ્રયાસ કર્યો હતો.
નવમા નોરતે દીકરીઓનું પૂજન કરવાનો કાર્યક્રમ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો, પણ એ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન કે એમના પરિવારના સભ્યો જોડાય એવી જાહેરાત કરવામાં નહોતી આવી. સૌના આશ્ચર્ય વચ્ચે ગઈ કાલે રાજકોટમાં રહેલાં અંજલિબહેન આ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યાં હતાં અને તેમણે કંકુ-ચોખાથી દીકરીનું તિલક કરી, તેને હાર પહેરાવી આરતી ઉતારી હતી. આ દૃશ્ય જોઈને ભલભલાની આંખોમાં અચરજ અંજાઈ ગયું હતું. અંજલિબહેન સાથે રાજકોટની મહિલા કૉર્પોરેટરોએ પણ દીકરીઓની આરતી ઉતારીને કન્યાપૂજનના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
અંજલિબહેને આંગણવાડીમાં રહેલી દીકરીઓને પોતાના તરફથી ભેટ પણ આપી હતી.