ઘાટકોપર સ્ટેશન ડિકન્જેશન પ્લાન...હજી ઠેરનો ઠેર
ઘાટકોપર સ્ટેશનને ડિકન્જેસ્ટ કરવાના પ્લાનની જાહેરાતને ૬ મહિના થઈ ચૂક્યા હોવા છતાં હજી સુધી રેલવે જોખમી ઘાટકોપર સ્ટેશનનની ભીડની મૂવમેન્ટ સરળ કરવાની દિશામાં કાંઈ થયું નથી. ઘાટકોપર સ્ટેશન પર દરરોજ ૩.૮૭ લાખ લોકોની અવરજવર રહે છે. ‘મિડ-ડે’એ ગયા વર્ષે ૩૦ ઑગસ્ટે એના પ્રથમ પાને આ સમસ્યા વિશેનો અહેવાલ આપ્યો હતો, જેના પગલે કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે અધિકારીઓને તાત્કાલિક પગલાં ભરવાનો આદેશ આપ્યો હતો.
‘મિડ-ડે’ના અહેવાલને ટાંકીને ગોયલ સમક્ષ આ મુદ્દો રજૂ કરનાર સ્થાનિક સંસદસભ્ય મનોજ કોટકે જણાવ્યું હતું કે ‘ઘાટકોપર એક મહિનાની અંદર લાંબા ગાળાનો ઉપાય મેળવશે.’ જોકે હજી સુધી કન્સ્ટ્રક્શનની કામગીરી ચાલુ થવા માટેનું પેપરવર્ક ચાલી રહ્યું છે.
આ પ્રોજેક્ટ શરૂ થવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે સૂત્રોએ જણાવ્યું હતું કે મુંબઈ રેલ વિકાસ કૉર્પોરેશન (એમઆરવીસી) પ્લાનિંગ કરી રહ્યું છે અને જનરલ ઍડ્મિનિસ્ટ્રેટિવ ડ્રૉઇંગ્સ તૈયાર કરી દેવાયાં છે. સેન્ટ્રલ રેલવેએ એને મંજૂર કર્યાં છે અને એમઆરવીસીને પરત કર્યાં હતાં. એમઆરવીસી હવે વિગતવાર ડ્રૉઇંગ્સ પર કામ કરી રહ્યું છે, જે ફરી સેન્ટ્રલ રેલવે અને કમિશનર ઑફ રેલ સેફ્ટી (સીઆરએસ)ને મોકલવામાં આવ્યાં છે અને તેમની મંજૂરી બાદ કામ હાથ ધરી શકાશે.
એમઆરવીસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘પ્લાનિંગનું શિડ્યુલ હાથ ધરાયું છે ત્યારે ઘાટકોપરની સમસ્યા એ છે કે ત્યાં કોઈ પણ કન્સ્ટ્રક્શનની કામગીરી માટે જગ્યા નથી. એ માટે હવે અમે ખાસ પ્રકારનાં માઇક્રો પાઇલિંગ મશીન તૈયાર કર્યાં છે જે મર્યાદિત હેડ રૂમમાં કામ કરી શકે છે. આના ઉપયોગ માટે પરવાનગી માગવામાં આવી છે.