બાંગ્લાદેશ: ઢાકાના કેમિકલ વેરહાઉસમાં આગ, 69નાં મોત, બચાવકાર્ય ચાલુ
બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં બુધવારની રાતે કેમિકલ તેમજ પ્લાસ્ટિક વેરહાઉસમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 69 લોકોનાં મોત થઈ ગયા. મરનાર લોકોમાં મહિલાઓ અને બાળકો સામેલ છે. ફાયર ઓફિસરનું કહેવું છે કે મરનારાઓની સંખ્યામાં વધારો થઈ શકે છે, કારણકે આગમાં સેંકડો લોકો બિલ્ડીંગની અંદર ફસાયેલા છે.
ADVERTISEMENT
ઢાકામાં હાલ રાહત અને બચાવકાર્ય ચાલુ છે
આ આગ રાજધાની ઢાકાના ચોકબજારવાળા સાંકડા વિસ્તારમાં લાગી. આ ક્ષેત્રમાં રહેણાંક અને કમર્શિયલ દુકાનો અને રેસ્ટોરન્ટ છે. બાંગ્લાદેશના ફાયર સર્વિસના પ્રમુખ અલી અહેમદે જણાવ્યું કે અત્યાર સુધી અમે 69 શબ રિકવર કર્યા છે. તેમણે કહ્યું કે શબની સંખ્યા વધી શકે છે. શબોની શોધ સાથે રાહત અને બચાવકાર્ય ચાલુ છે. એક અન્ય ફાયરબ્રિગેડ અધિકારીએ સંવાદદાતાઓને જણાવ્યું કે આગ બુધવારની રાતે લગભગ 11 વાગે લાગી. આગ પર કાબૂ મેળવવા માટે સ્થળ પર 30 અગ્નિશામક વાહનો હાજર છે. તેમણે કહ્યું કે આ બહુ વિનાશકારી આગ છે.
સિલિન્ડર ફાટવાને કારણે ઘટી આ ઘટના
અલી અહેમદે કહ્યું કે ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટના કારણે ઘટના થઈ. જણાવવામાં આવી રહ્યું છે કે અહીંયા ખૂબ વધારે જ્વલનશીલ રસાયણ પદાર્થ રાખવામાં આવ્યો હતો, જેના કારણે આગ ખૂબ ઝડપથી ફેલાઈ. જોતજોતામાં આગ એટલી ભીષણ થઈ ગઈ કે તેની લપટો આસપાસની ચાર બિલ્ડીંગોમાં પ્રવેશી ગઈ. ફાયર બ્રિગેડ અધિકારીએ જણાવ્યું કે અકસ્માતમાં ઘાયલ થનારા લોકોમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો છે. ઘાયલોને ઇલાજ માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: પુલવામામાં હુમલો: ઈમરાનના નિવેદન બાદ ટ્રમ્પનું મોટું નિવેદન
ઢાકા મેડિકલ કોલેજે કહ્યું કે 45 લોકો ઘાયલ છે, જેમની સ્થિતિ બહુ ગંભીર છે. ઉલ્લેખનીય છે કે 2010માં ઢાકામાં એક જૂની બિલ્ડીંગમાં આગ લાગવાથી 120 લોકોનાં મોત થયા હતા. તે સમયે પણ આગ એક ગોડાઉનમાં લાગી હતી, જ્યાં જ્વલનશીલ પદાર્થ રાખવામાં આવ્યા હતા. તેના કારણે આગે વિકરાળ રૂપ ગ્રહણ કર્યું હતું.