આ પ્રોજેક્ટ હેઠળ શરૂઆતમાં ૧૫થી ૨૦ ઇલેક્ટ્રિક બસ ૩૫ કિલોમીટરથી વધુ લાંબા રૂટ પર દોડાવવામાં આવશે
પ્રદૂષણમુક્ત વાતાવરણ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોના ભાગરૂપે ગુજરાત સરકાર રાજધાની ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે ઇલેક્ટ્રિક બસ (E-BUS)નો પાઇલટ પ્રોજેક્ટ ટૂંક સમયમાં શરૂ કરશે. સરકારી માલિકીના ગુજરાત પાવર કૉર્પોરેશને આ પ્રોજેક્ટમાં રસ ધરાવતી કંપનીઓ પાસેથી આવેદનપત્રો પણ મગાવ્યાં છે.
આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા એક અધિકારીએ કહ્યું હતું કે ‘જાહેર પરિવહનના હેતુસર કૉર્પોરેશન પ્રાયોગિક ધોરણે આ પ્રોજેક્ટ શરૂ કરવાનું છે. એ માટે શરૂઆતમાં પંદરથી વીસ ઇલેક્ટ્રિક બસ ગાંધીનગર અને અમદાવાદ વચ્ચેના ૩૫ કિલોમીટરથી વધુ લાંબા રૂટ પર દોડાવવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે સિટી બસ જેવી પંદરથી ૪૦ બેઠકોવાળી બસ ખરીદવામાં આવશે.’
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે ઇલેક્ટ્રિક વેહિકલ્સ અને સૂર્યઊર્જા આધારિત ઇલેક્ટ્રિક ચાર્જિંગ સિસ્ટમના આ પાઇલટ પ્રોજેક્ટની વિચારણા કરી હતી એમ જણાવતાં અધિકારીએ ઉમેર્યું હતું કે કાર્બન ઇમિશન ઘટાડવાના અને પર્યાવરણીય સંતુલન જાળવવાના હેતુસરનો આ પાઇલટ પ્રોજેક્ટ સફળ થશે તો રાજ્યનાં અન્ય શહેરોમાં પણ એનો અમલ કરવામાં આવશે.
આ પ્રોજેક્ટની વિગત આપતાં અધિકારીએ જણાવ્યું હતું કે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેના રૂટ પર સમાન અંતરે સૂર્યઊર્જા આધારિત ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનો પણ ઊભાં કરવામાં આવશે. આ પ્રોજેક્ટ વર્તમાન વર્ષના અંત સુધીમાં શરૂ કરી દેવાનો દાવો રાજ્ય સરકાર કરી રહી છે, પરંતુ એના પ્રારંભિક તબક્કાનું કોઈ ટાઇમટેબલ નક્કી કરવામાં આવ્યું નથી.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK