સવારે ૯ પહેલાં અને સાંજે પાંચથી સાત વચ્ચે પતંગ ન ચગાવો, પ્લીઝ
આજે ઉત્તરાયણ નિમિત્તે ખ્યાતનામ લોકકલાકાર કીર્તિદાન ગઢવીએ પતંગની આપણી મજા પક્ષીઓ માટે સજા ન બની જાય એવું આહ્વાન કરતા વિડિયો વાઇરલ કર્યો હતો અને એમાં ચાઇનીઝ દોરી અને તુગ્ગલને કારણે પક્ષીઓને ઈજા ન પહોંચે એનું ધ્યાન રાખવાનું કહ્યું હતું અને સાથોસાથ તળના માનવી તરીકે તેમણે પોતાનું સરસ ઑબ્ઝર્વેશન ટાંકતાં કહ્યું હતું કે પતંગની મજા લેવી જ હોય તો બે સમયે લેવાનું ટાળો. કીર્તિદાને કહ્યું હતું કે સવારે ૯ વાગ્યા પહેલાં અને સાંજે પાંચથી સાત વાગ્યા દરમ્યાન પતંગ ન ઉડાડીએ, કારણ કે સવારે ૯ પહેલાં પક્ષીઓ ઊડતાં હોય છે અને સાંજે પાંચથી સાત દરમ્યાન પક્ષીઓ ચણીને પાછાં પોતાના માળામાં આવતાં હોય છે.
આ બે સમય સિવાયના સમયગાળામાં પતંગ ઉડાડવી હોય તો ઉડાડવી જોઈએ એવું કહેતાં કીર્તિદાને કહ્યું હતું કે ચાઇનીઝ દોરી કે તુગ્ગલનો ઉપયોગ કર્યા વિના આપણે આપણો તહેવાર આપણી રીતે, આપણી ચીજવસ્તુઓથી માણીએ.