રાજ્યમાં વધુ એક કોરોના વાઇરસ દરદીનું મૃત્યુ : મૃત્યુઆંક ૬એ પહોંચ્યો
ચીનથી ફેલાયેલા કોરોના વાઇરસના કારણે આખી દુનિયામાં મોતનું તાંડવ જોવા મળી રહ્યું છે. ભારતમાં પણ કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે હવે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. માહિતી મુજબ અમદાવાદમાં વધુ એક કોરોના વાઇરસવાળાના દરદીનું મોત થયું છે. અમદાવાદમાં ૪૫ વર્ષના પુરુષનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું હોવાની પુષ્ટિ થઈ છે. મરનારને ડાયાબિટીઝની પણ બીમારી હતી. આ સાથે હવે રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાઇરસથી કુલ પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે. મળતી માહિતી મુજબ અમદાવમાદમાં કોરોના સંક્રમણના વધુ ૩ કેસ પૉઝિટિવ આવ્યા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાના કુલ ૨૧ કેસ પૉઝિટિવ નોંધાયા છે.
ડૉ. જયંતી રવિએ ઉમેર્યું કે રાજ્યમાં જે ૫૮ કેસ પૉઝિટિવ નોંધાયા છે જેમાં અમદાવાદમાં ૨૧, સુરતમાં ૭, રાજકોટમાં ૮, વડોદરામાં ૯, ગાંધીનગરમાં ૯, ભાવનગર, કચ્છ, મહેસાણા અને ગીર સોમનાથ સહિત પ્રત્યેક જિલ્લામાં એક-એક કેસ નોંધાયો છે.
ગુજરાતમાં નોંધાયેલા કોરોના પૉઝિટિવના કુલ ૫૮ કેસમાં વિદેશથી આવેલા પ્રવાસીઓ જેટલા જ કેસો લોકલ ટ્રાન્સમિશનના બહાર આવી રહ્યા છે. ગુજરાતના કુલ ૫૮ કેસમાં વિદેશના ૨૮ કેસની સાથે લોકલ ટ્રાન્સમિશનના ૨૬ અને આંતરરાજ્યના ૪ કેસ છે. ગુજરાતમાં કોરોનાના કારણે થયેલાં પાંચ મોતમાં પણ બે લોકલ ટ્રાન્સમિશન અને બે આંતરરાજ્યના કેસ છે.
ADVERTISEMENT
રાજ્યનાં ચારેય મહાનગરો અને જિલ્લા કક્ષાએ ૫૫૦૦ જેટલા બેડની અલાયદી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં અમદાવાદ ખાતે ૧૨૦૦, સુરત ખાતે ૫૦૦, વડોદરા ખાતે ૨૫૦, રાજકોટ ખાતે ૨૫૦ બેડની સુવિધાવાળી ખાસ કોવિડ હૉસ્પિટલ કાર્યરત થઈ ગઈ છે. એ જ રીતે રાજ્યના તમામ જિલ્લામાં ૫૦ સરકારી અને ૫૦ ખાનગી મળી અંદાજે ૧૦૦ બેડની સુવિધા વાળી ૩૩૦૦ બેડની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે.
રાજ્યના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં કોરોનાના કારણે મોતને ભેટેલી વ્યક્તિ પહેલાંથી જ ડાયાબિટીઝથી પીડાતી હતી. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આ માહિતી આપતું ટ્વીટ પણ કરવામાં આવ્યું છે. અમદાવાદમાંથી ૩૮૨ લોકોની ટેસ્ટ કરવામાં આવી છે જેમાંથી કોરોના પૉઝિટિવ કેસ ૨૧ છે તો ૪૦૨૦ લોકોને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે.
રાજ્યમાં કુલ ૧૦૭૯ લોકોની ટેસ્ટ કરવામાં આવી છે જેમાંથી ૫૮ લોકો કોરોના પૉઝિટિવ આવ્યા છે. રાજ્યભરમાં ૧૯,૬૬૧ લોકોને વિવિધ રીતે ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. હજી સુધી રાજ્યમાંથી કોઈ કોરોના વાઇરસથી પીડાતો દરદી સ્વસ્થ થયો હોવાનો આંકડો સામે આવ્યો નથી. કોરોના વાઇરસના પૉઝિટિવ કેસોમાં રાજ્યમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં લૉકડાઉન હોવા છતાં કોરોના પૉઝિટિવ દરદીઓનો આંકડો વધી રહ્યો છે, જ્યારે આખા રાજ્યની વાત કરીએ તો આ આંકડો ૫૮એ પહોંચ્યો છે. માહિતી પ્રમાણે ત્રણે દરદીઓને સારવાર અર્થે સિવિલ હૉસ્પિટલ ખસેડાયા છે.