ચિલ્ડ્રન્સ હોમ્સમાં અલર્ટ: 68 બાળકોનો કોરોના ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ
પ્રતીકાત્મક તસવીર
ચિલ્ડ્રન્સ હોમ કે રિમાન્ડ હોમનાં બાળકો કોઈના સંપર્કમાં ન આવતાં હોવા છતાં ૬૫ બાળકોનો કોરોના ઇન્ફેક્શનનો ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. બાળમજૂરી કે અન્ય ગુલામી કે ગેરકાયદે પ્રવૃત્તિમાંથી બચાવાયેલાં કે બાળ ગુનેગારો તરીકે પકડાયેલાં બાળકોને જ્યાં રાખવામાં આવે છે, એ સ્થળોનાં બાળકોને કોરોનાનો ચેપ લાગતાં તમામ ચિલ્ડ્રન્સ હોમ્સ અને રિમાન્ડ હોમ્સમાં અલર્ટની સૂચનાઓ જાહેર કરાઈ છે. હાલ માનખુર્દ ચિલ્ડ્રન્સ હોમનાં ૫૩ અને ડોંગરી રિમાન્ડ હોમનાં ૧૫ બાળકોના કોરોના ટેસ્ટના રિપોર્ટ્સ પૉઝિટિવ આવ્યા છે.
માનખુર્દના પાંચ ચિલ્ડ્રન્સ હોમ્સમાં હાલ કુલ ૫૩૯ બાળકો રહે છે. એ ચિલ્ડ્રન્સ હોમ્સમાં સૌ પ્રથમ બે કર્મચારીઓને બે મહિના પહેલાં કોરોના વાઇરસનું ઇન્ફેક્શન લાગ્યું હતું. કેટલાંક અઠવાડિયાંના ગાળામાં જે ૫૩ બાળકોને કોવિડ-19નો ચેપ લાગ્યો એમાં ૫૧ માનસિક નબળાઈ ધરાવતાં બાળકો છે. એમાં કેટલાંક બાળકોને કફ અને તાવની વ્યાધિ અને કેટલાકને ઇન્ફેક્શનનાં લક્ષણો સ્પષ્ટ જણાતાં નથી એટલે કે એ બાળકોની સ્થિતિ એસિમ્પ્ટઑમૅટિક છે. જેમના કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ્સ પૉઝિટિવ આવ્યા છે એ બાળકોને બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ(બીકેસી)ના કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યાં હોવાનું ચાઇલ્ડ વેલફેર કમિટી(મુંબઈ સબર્બન)ના અધ્યક્ષ એસ. એ. જાધવે જણાવ્યું હતું. તાજેતરમાં જે બાળકોના કોરોના ટેસ્ટ રિપોર્ટ્સ પૉઝિટિવ આવ્યાં એમાં એકને બાદ કરતાં અન્ય તમામ બાળકો સાજા થયાં છે.
ADVERTISEMENT
ડોંગરી-ઉમરખાડીના ઓબ્ઝર્વેશન હોમમાં હાલમાં ૧૦૦ જેટલાં નિરાધાર બાળકો અને બાળ ગુનેગારો રહે છે. ગયા મહિને નવા દાખલ થયેલાં ૧૫ બાળકો અને ત્રણ-ચાર સ્ટાફ મેમ્બર્સના કોરોના ટેસ્ટ રિપોર્ટ્સ પૉઝિટિવ આવ્યા હોવાનું એ ઓબ્ઝર્વેશન હોમના સુપરિન્ટેન્ડન્ટ રાહુલ કંઠીકરે જણાવ્યું હતું. રાહુલ કંઠીકરે જણાવ્યું હતું કે ‘નવા દાખલ થયેલાં બાળકોને જે. જે. હૉસ્પિટલમાં રાખીને એમની કોરોના ટેસ્ટ કરવામાં આવી છે. એમના રિપોર્ટ્સ આવે ત્યાર સુધી એ બધાને ૧૪ દિવસ ક્વૉરન્ટીન કરવામાં આવશે. જે બાળકોના ટેસ્ટ રિપોર્ટ પૉઝિટિવ આવ્યા હતા એ બધાને જી. ટી. હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.’