દહિસરની ગુરુકુળ સોસાયટીએ રેફ્યુજી એરિયામાં કોરોના કૅર સેન્ટર ઊભું કર્યુ
કોરોના કૅર સેન્ટરનું નિરિક્ષણ કરતા સાસંદ ગોપાલ શેટ્ટી
દહિસર-વેસ્ટમાં આવેલી ગુરુકુળ સોસાયટી તેના રેફ્યુજી એરિયામાં કોરોના કૅર સેન્ટર ઊભું કરનારી મુંબઈની પહેલી સોસાયટી બની છે. સાસંદ ગોપાલ શેટ્ટીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું.
સોસાયટીની કમિટી દ્વારા જો સોસાયટીમાં કોઈ કોરોના પેશન્ટ જણાય તો તેના માટે સોસાયટીના જ રેફ્યુજી એરિયામાં આ કોરોના કૅર સેન્ટર ઊભું કરવાનો નિર્ણય લેવાયો હતો. એ પછી તેમણે રેફ્યુજી એરિયામાં ૩ બેડ સાથેની સુવિધા ઊભી કરી હતી. આ કોરોના કૅર સેન્ટરનું ઉદ્ઘાટન કરતા સંસદસભ્ય ગોપાલ શેટ્ટીએ કહ્યું હતું કે કોરોનાના દરદીને જો શરૂઆતથી જ યોગ્ય અને ઝડપી સારવાર મળે તો તે જલદી સાજો થઈ શકે છે. સોસાયટીના જ સભ્યએ કહ્યું હતું કે રેફ્યુજી એરિયા એટલા માટે જ હોય છે કે જરૂરિયાતના સમયે એ કામ આવી શકે. એક મહિલા સભ્યએ કહ્યું હતું કે જો દરદીને હૉસ્પિટલમાં દાખલ કરાય તો ત્યાં બીજા દરદીઓને કારણે પણ માણસ ગભરાઈ જતો હોય છે. એના કરતાં અહીં તે તેના જાણીતા લોકોની વચ્ચે જ પણ અલાયદો રહેશે એથી માનસિક રીતે પૉઝિટિવ રહેશે.
ADVERTISEMENT
મુંબઈ મહાનગરપાલિકાના આર નોર્થ વૉર્ડના નગરસેવક હરીશ છેડાએ આ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે સોસાયટીમાં જ ચાર ડૉક્ટરો રહે છે. વળી તેમણે બોરીવલીના ડૉક્ટરોના અસોસિએશન સાથે પણ સહયોગ રાખ્યો છે. સેન્ટરમાં ઑક્સિજન, ટેમ્પરેચર અને પલ્સ ચેક કરવું, બ્લડપ્રેશર ચેક કરવાની ફેસિલિટી અને ઇમ્યુનિટી વધારે તેવી દવાઓ રખાઈ છે.