ઘાટકોપરના પંતનગરમાં કોરોનાનો પૉઝિટિવ કેસ
સરકારની વિનંતી છતાં રેલવે સ્ટેશન પર લોકોની આવાગમન ચાલુ છે. તસવીર: આશિષ રાજે
ગઈકાલે મુંબઈ, પુણે અને રત્નાગિરિમાં એક એક પોઝિટિવ કેસીસ મળતાં રાજ્યના કોરોના વાઇરસના કેસીસમાં ત્રણ દરદીઓ ઉમેરાયા હતા. વિદેશથી આવેલા ત્રણ જણના કેસીસ ઉમેરાતાં મહારાષ્ટ્રનો કોરોના પોઝિટિવ કેસીસનો આંકડો ૪૫ પર પહોંચ્યો છે. રાજ્ય સરકારના આરોગ્ય ખાતાની સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યા પ્રમાણે ૪૫ દરદીઓમાં ૧૯ દરદીઓ પુણે જિલ્લાના છે. મુંબઈમાં પૉઝિટિવ થયેલો કેસ ઘાટકોપરના પંતનગરનો છે.
પુણેના પિંપરી-ચિંચવડમાં રહેતી સિંગાપોર, ફિલિપિન્સ અને કોલંબોનો પ્રવાસ કરીને આવેલી ૨૧ વર્ષની યુવતી, મુંબઈમાં અમેરિકા જઇને આવેલા પરિવારની ઘરનોકરાણી અને રત્નાગિરિમાં દુબઈ જઇને આવેલા પચાસ વર્ષના સ્થાનિક નાગરિકનો નવા ત્રણ પોઝિટિવ કેસીસમાં સમાવેશ છે. મુંબઈના તાજા પોઝિટિવ કેસમાં કોરોનાનું ઇન્ફેક્શન જેને લાગ્યું છે એ નોકરાણી વિદેશ ન ગયા છતાં સ્થાનિક સ્તરે ચેપ લાગ્યો હોય એવો રાજ્યનો દસમો કિસ્સો છે. ૧૮ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં રાજ્યમાં વિદેશથી આવેલા ૧૨૨૭ લોકોમાંથી ૯૫૮ને કોરોના જેવા લક્ષણોને કારણે ક્વૉરેન્ટીન કરવામાં આવ્યા હતા.