ગુજરાત સરકાર સામે દર ૧૫ દિવસે આંદોલન
અમદાવાદ: ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિમાં નવનિયુક્ત પદાધિકારીઓ અને કારોબારી તથા વિવિધ સેલ અને વિભાગોના ચૅરમેનોની ગઈ કાલે મળેલી બેઠકમાં પ્રમુખ અજુર્ન મોઢવાડિયાએ તેમને અભિનંદન આપ્યાં હતાં અને કહ્યું હતું કે જે પદાધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે તેમને જવાબદારી નિભાવવાની છે અને જિલ્લા-નિરીક્ષકોએ તેમને સોંપેલા જિલ્લામાં દસ દિવસ પ્રવાસ કરવાનો રહેશે.
ચૂંટણી કૅમ્પેન કમિટીના ચૅરમૅન શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે ‘ગુજરાતની પ્રજા બીજેપીના ઓછાયામાંથી બહાર નીકળી રહી છે અને કૉન્ગ્રેસ તરફ નજર રાખી રહી છે ત્યારે કૉન્ગ્રેસની જવાબદારી છે કે લોકોના પ્રશ્નો વધુ ઉજાગર કરવામાં આવે.’
આ બેઠકમાં ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે માગણી કરતાં કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રની કૉન્ગ્રેસ સરકારે કપાસ, સોયાબીન વગેરેમાં ૨૦૦૦ કરોડ રૂપિયાનું પૅકેજ જાહેર કર્યું છે અને ખેડૂતોને ૩૫૦૦ રૂપિયાથી ૪૦૦૦ રૂપિયા સુધી રોકડ વળતર આપવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાત સરકારે પણ મહારાષ્ટ્ર સરકારના ધોરણે ખેડૂતોને પૅકેજ આપવું જોઈએ.’