મુંબઈગરાઓના માથેથી હાલપૂરતી મુસીબત ટળી
ADVERTISEMENT
છેલ્લાં ૧૮ વર્ષથી કમિશનમાં વધારો ન થતાં સીએનજી (કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ)ના ઉશ્કેરાયેલા ડીલરો આજથી હડતાળ પર જવાના હતા. જો આમ થાત તો સીએનજીથી ચાલતી મુંબઈની ૯૦ ટકા રિક્ષાઓ, ૮૦ ટકા ટૅક્સીઓ અને બેસ્ટ (બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ) અન્ડરટેકિંગની ૨૫૦૦ બસો પર હડતાળની માઠી અસરરૂપે વાહનવ્યવહાર બંધ થવાના અણસાર જોવા મળી રહ્યા હતા; પણ સરકાર અને પેટ્રોલિયમ મિનિસ્ટ્રીની સમયસર આંખો ઊઘડતાં તેમણે ઑઇલ-કંપનીઓ પાસે ત્રણ અઠવાડિયાં અને સીએનજીના ડીલરો પાસે તેમની માગણીઓ વિશે નિર્ણય લેવા માટે ચાર અઠવાડિયાંની મુદત માગી છે.
પેટ્રોલ ડીલર્સ અસોસિએશન-મુંબઈ દ્વારા સીએનજી વેચવાના કમિશનના રેટમાં વધારો કરવામાં ન આવતાં એનો વિરોધ કરવા આજથી મુંબઈ, થાણે અને રાયગડ જિલ્લાનાં સીએનજીનાં સ્ટેશનોને બંધ પાળવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશ પાછો ખેંચવા વિશે પેટ્રોલ ડીલર્સ અસોસિએશનના એમ. વેન્કટ રાવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઑઇલ-કંપનીઓ, એક્સાઇઝના બેદીસાહેબ, સ્ટેટ લેવલના પેટ્રોલિયમ કો-ઑર્ડિનેટર પરમાર અને મહાનગર ગૅસના અધિકારીઓની ગઈ કાલે બપોરે બે વાગ્યા પછી ચાલુ થયેલી મીટિંગ પછી ઑઇલ-કંપનીઓ પાસે ત્રણ અઠવાડિયાં અને અમારી પાસે ચાર અઠવાડિયાંની મુદત યોગ્ય નિર્ણય લેવા માટે માગી હોવાથી અમે હાલ પૂરતો બેમુદત બંધ પાછો ખેંચી લીધો છે.’
સીએનજીના વેચાણ પાછળ સીએનજીના ડીલરોને ૩૧.૪૭ રૂપિયે કિલો વેચાતા ગૅસ પર કિલોદીઠ ૮૭ પૈસા નફો મળે છે. સમય સાથે તેમના ઇલેક્ટ્રિસિટીથી લઈને પગાર, યુનિફૉર્મ જેવા વધારાના ખર્ચ વધી ગયા છે; પણ તેમના નફામાં ૧૮ વર્ષથી કોઈ વધારો નથી થયો. તેમના પત્રવ્યવહારને યોગ્ય જવાબ ન મળતાં સીએનજીના ડીલરોએ બેમુદત બંધ પાળવાનો નિર્ણય લીધો હતો. સીએનજી ડીલર્સ અસોસિએશનની ડિમાન્ડ અત્યારનું કિલોદીઠ ૮૭ પૈસાનું કમિશન વધારીને ૨.૫૦ રૂપિયા કરવાની છે.