બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ફરી ગ્રહણ: 50 ખેડુતો સુપ્રીમની શરણે પહોંચ્યા
બુલેટ ટ્રેન
(જી.એન.એસ.) કેન્દ્ર સરકારનો અતિ મહત્ત્વાકાંક્ષી ગણાતો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ફરી ઘોંચમાં પડે એવી શક્યતા સર્જાઈ છે. ગુજરાત હાઈ કોર્ટમાં ખેડૂતો તરફી નિર્ણય નહીં આવતાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના પચાસ જેટલા અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રોજેક્ટના અસરગ્રસ્ત ૭૦ જેટલા મકાનમાલિકો પણ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરશે.
કેન્દ્ર સરકારનો સૌથી મહત્ત્વનો પ્રોજેક્ટ બુલેટ ટ્રેન જમીન સંપાદનને લઈ હાઈ કોર્ટનો ચુકાદો ખેડૂતો તરફી નહીં રહેતા હવે ખેડૂતો સુપ્રીમ કોર્ટના દ્વારે પહોંચ્યા છે. કેન્દ્ર સરકારના ૨૦૧૩ના કાયદા પ્રમાણે જમીન સંપાદન કરી વળતર ચૂકવવાની માગ સાથે પિટિશન સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે.
આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન
સુપ્રીમ કોર્ટમાં અસરગ્રસ્ત ખેડૂતો સહિત દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા પિટિશન કરવામાં આવી છે. રાજ્ય સરકાર ૨૦૧૬ના કાયદા પ્રમાણે ખેડૂતોને જમીન સંપાદનનું વળતર આપવાની વાત કરી રહી છે. રાજ્ય સરકારે ૨૦૧૩ના બદલે ૨૦૧૬ના કાયદામાં સુધારા કરી જમીન સંપાદનનો કાયદો લાગુ કર્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મામલે સુરત સહિત દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.


