ગૌશાળામાં એકસાથે 100 ગાયનાં મોત થતાં અરેરાટી
પ્રતીકાત્મક તસવીર
આંધ્ર પ્રદેશના તાડેપલ્લીના કોઠુરુમાં આવેલી ગૌશાળામાં અંદાજે ૧૦૦ ગાયોનાં મોતથી હોબાળો થઈ ગયો છે. માનવામાં આવે છે કે આ ગાયોને ઝેર આપવામાં આવ્યું છે. આરોપ છે કે, ગઈ રાતે ગાયોને ભોજન આપવામાં આવ્યા પછી તેમનું મોત થઈ ગયું છે. ઘટનાની માહિતી મળતાં જ પશુચિકિત્સક ગૌશાળા પહોંચી ગયા હતા અને અન્ય જાનવરોની પણ તપાસ કરી હતી. ડૉક્ટરે કહ્યું કે, પોસ્ટમોર્ટમ પછી જ મોતનું કારણ ખબર પડી શકે છે. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો : સોનિયા ગાંધી બન્યાં વચગાળાનાં અધ્યક્ષ
ADVERTISEMENT
મીડિયા રિપોટ્ર્સ પ્રમાણે ગૌશાળામાં સાંજે ૭ વાગે ગાયોને ચારો આપવામાં આવ્યો હતો, ત્યાર પછી ૯ વાગતા એક પછી એક ગાય પડવા લાગી હતી. ગૌ સમિતિના સભ્ય સાહુએ કહ્યું કે, જ્યારે રાત્રે ૯.૩૦ વાગે મને ચોકીદારનો ફોન આવ્યો ત્યારે હું ગૌશાળા પહોંચ્યો હતો અને ત્યાં સુધીમાં મોટી સંખ્યામાં ગાયોનાં મોત થયાં હતાં. પોલીસે સમગ્ર ઘટનાક્રમની પૂછપરછ માટે ચોકીદાર અને ગાયોને ચારો આપનાર કૅરટેકરની ધરપકડ કરી લીધી છે. તે સાથે જ સીસીટીવી ફુટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.