સેંકડો વિદ્વાનોએ ગીતા પર કલમ ચલાવી છે અને હજી ચલાવી રહ્યા છે. ગ્રંથ ભલે જૂનો હોય, એની વ્યાખ્યા તાજી હોવી જોઈએ.
પ્રતીકાત્મક તસવીર
આપણે વાત કરીએ છીએ ગીતા અને એના પ્રત્યેના મારા આકર્ષણની. હું કહીશ કે ગીતા ભક્તિનો ગ્રંથ છે. ડગલે ને પગલે એ પ્રભુભક્તિની વાત કરે છે. એમાં શરણાગત ભાવને શ્રેષ્ઠ માન્યો છે. અધ્યાત્મના નામે કેટલાક લોકો કોરા આત્મવાદી થઈ જાય છે. તેઓ પોતાને જ સુપરપાવર માને છે. ‘અહં બ્રહ્માસ્મિ’ જેવી રટ લગાવીને કર્મ અને ભક્તિ બન્નેનો તેઓ ત્યાગ કરી દે છે. ગીતાને આ માન્ય નથી. તે કર્મ, ભક્તિ અને જ્ઞાન ત્રણેનો સમુચ્ચય કરે છે જેથી જીવન પુરુષાર્થ અને ભક્તિમય બની શકે છે. ગીતામાં વારંવાર અનાસક્તિ, ફળત્યાગ, કૃષ્ણાર્પણભાવ આવે છે. આ ભાવો જીવાત્માને લાલચુ થતો અટકાવવા તથા લોભ-લાલચથી મુક્ત થઈને કામ કરવાની પ્રેરણા આપવા માટે છે.
આવાં બધાં અનેક કારણોથી ગીતા પ્રત્યે આકર્ષણ થાય એ સ્વાભાવિક છે. ગીતા સંયમવાદી છે, નિગ્રહવાદી નથી. પોતાની અનેક વિભૂતિઓમાં કામને પણ પોતાની વિભૂતિ ગણાવી છે. પ્રજાને પૌરુષવતી બનાવવી જોઈએ. નિગ્રહી પ્રજા પૌરુષ ખોઈ બેસતી હોય છે. ગીતા અહિંસાવાદી નથી તેમ જ હિંસાવાદી પણ નથી. એ વાસ્તવવાદી છે. ભારતમાં ઋષિઓ પછી જે શ્રમણોનો ઉદય થયો એમાંથી કેટલાકે અહિંસાનો એટલો બધો અતિરેક કર્યો કે ક્ષત્રિયો શસ્ત્રત્યાગી થઈ ગયા, જેના પરિણામે યોદ્ધાઓ ખૂટી પડ્યા. સાધુઓ વધી જાય અને યોદ્ધાઓ ખૂટી જાય તો દેશની કેવી દશા થાય? ગુલામી જ આવેને? ગીતા તો શસ્ત્રત્યાગીને શસ્ત્ર ધારણ કરાવે છે તેથી એ વીરતાવાદી છે. પ્રજા નમાલી નહીં, વીર થવી જોઈએ. આમ ચારે તરફથી જોતાં ગીતા આજે પણ પ્રસ્તુત છે. એમાંથી પ્રેરણા લઈને હજારો લોકોએ પોતાનું જીવન બનાવ્યું છે, બનાવી રહ્યા છે.
ADVERTISEMENT
સેંકડો વિદ્વાનોએ ગીતા પર કલમ ચલાવી છે અને હજી ચલાવી રહ્યા છે. ગ્રંથ ભલે જૂનો હોય, એની વ્યાખ્યા તાજી હોવી જોઈએ. તાજી વ્યાખ્યા જ ગ્રંથની ઉપયોગિતા દૃઢ કરાવે છે. વાસી વ્યાખ્યા ગંધાઈ ગયેલા ધાન જેવી થઈ જતી હોય છે. મને પણ પરમેશ્વરે કંઈક લખવાની પ્રેરણા આપી. તેમની પ્રેરણાથી જ આ બે શબ્દો લખી શકાયા છે. મારો દૃષ્ટિકોણ સ્પષ્ટ છે. ‘વાસ્તવવાદ’, વાસ્તવિકતાનો સ્વીકાર કરો અને એના જ દ્વારા એનો ઉકેલ લાવો. કલ્પનાવાદ આમ તો શ્રુતરમણીય છે, પણ તેથી પ્રશ્નો ઉકેલાતા નથી. આમ તો મને બધા આચાર્યોનાં ભાષ્યો વિશે થોડી ગતાગમ છે; પણ મેં જાણી-કરીને કોઈનાં ઉદાહરણો નથી આપ્યાં, કારણ કે એ લોકભોગ્ય નથી હોતાં, વિદ્વદ્ભોગ્ય હોય છે. તેથી ગ્રંથ ક્લિષ્ટ થઈ શકે છે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)