Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > હિન્દુ ધર્મ અને સર્વમાન્ય એવો લોકભોગ્ય ધર્મગ્રંથ

હિન્દુ ધર્મ અને સર્વમાન્ય એવો લોકભોગ્ય ધર્મગ્રંથ

Published : 05 February, 2024 09:11 AM | IST | Mumbai
Swami Satchidananda

ગીતા પર સેંકડો વિદ્વાનોએ ભાષ્યો અને ટીકાઓ લખ્યાં છે. સૌએ પોતપોતાના સિદ્ધાંતોને ગીતામાંથી પ્રમાણિત કરવાના પ્રયત્નો કર્યા છે. ગીતામાં છે પણ એવું કે જેને જે જોઈએ એ બધું મળી રહે છે એટલે ગીતાની માન્યતા વ્યાપક બની શકી છે.

પ્રતીકાત્મક તસવીર

ચપટી ધર્મ

પ્રતીકાત્મક તસવીર


મનેકમને સ્વીકારવું રહ્યું કે હિન્દુ ધર્મ પાસે કોઈ સર્વમાન્ય લોકભોગ્ય એક પણ ધર્મગ્રંથ નથી. મુસ્લિમો પાસે કુરાન, ખ્રિસ્તીઓ પાસે બાઇબલ, સિખો પાસે ગુરુગ્રંથસાહેબ છે એવો સર્વલોકભોગ્ય એક પણ ગ્રંથ નથી. કહેવા ખાતર વેદોને ધર્મગ્રંથ માનવામાં આવે છે; પણ એક તો એ લોકભોગ્ય નથી થઈ શક્યા, નથી થવા દીધા! 

બીજું, હિન્દુ પ્રજામાં અવૈદિક પ્રજા પણ છે જે પોતપોતાના અલગ-અલગ ધર્મગ્રંથોમાં માને છે. વૈદિક પરંપરામાં જે આચાર્યો થયા (શંકરાચાર્ય વગેરે જેવા) તેમણે ‘પ્રસ્થાનત્રયી’ પર ભાષ્યો લખ્યાં છે, પણ કોઈએ વેદો પર ભાષ્ય નથી લખ્યું. ‘પ્રસ્થાનત્રયી’માં ગીતા, બ્રહ્મસૂત્ર અને ઈશોપનિષદોને ગ્રહણ કરાયાં છે. ઉપનિષદોને વેદ માની લેવાયાં છે, પણ વાસ્તવમાં તો સંહિતાભાગ જ વેદ છે. એનો પ્રચાર તો આ આચાર્યોએ પણ કર્યો નથી. મૂળ વેદોનો પ્રચાર સ્વામી દયાનંદજીએ શરૂ કર્યો કહેવાય. તેમણે એને લોકભોગ્ય બનાવવાનો સૌને અધિકાર આપ્યો, પણ એમાં બહુ સફળતા મળી દેખાતી નથી. હિન્દુ પ્રજા પર ધર્મગ્રંથો તરીકે ઘણા ગ્રંથો છવાઈ ગયા છે. એમાં રામાયણ-મહાભારત અને પુરાણો ખરાં; પણ આ બધાંમાં એકવાક્યતા નથી, પ્રયત્ન કરીને એકવાક્યતા કરવી પડે છે. આ બધાને કારણે હિન્દુ ધર્મ સ્પષ્ટ-સચોટ થઈ શકતો નથી. એની પાસે બધું ઘણું-ઘણું છે॥ ઘણાં શાસ્ત્રો છે, ઘણા દેવો છે, ઘણા આચાર્યો છે, ઘણા ભગવાનો છે. ઘણા સંપ્રદાયો, પંથો અને પરિવારો છે. સૌકોઈ પોતપોતાની રુચિ પ્રમાણે આ ઘણાબધામાંથી કંઈક સ્વીકારી લે છે, કંઈક અસ્વીકારી પણ દે છે. આવી બધી અનિશ્ચિતતામાં છેલ્લાં ૬૦-૭૦ વર્ષોથી લોકમાન્ય એક ગ્રંથ પ્રાપ્ત થયો છે એ છે ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’. 



ગીતા એનું ટૂંકું નામ છે. એનો પ્રચાર અને માન્યતા એટલાં બધાં થઈ ગયાં છે કે કોર્ટકચેરીમાં સોગંદ ખાવા માટે લોકો ગીતા ઉપાડે છે અથવા ગીતા પર હાથ રાખીને સોગંદ ખાય છે. હવે એ હિન્દુ ધર્મનો બહુમાન્ય ધર્મગ્રંથ થયો છે અને એનું મહત્ત્વ ઘણું વધી જાય છે.    


ગીતા પર સેંકડો વિદ્વાનોએ ભાષ્યો અને ટીકાઓ લખ્યાં છે. સૌએ પોતપોતાના સિદ્ધાંતોને ગીતામાંથી પ્રમાણિત કરવાના પ્રયત્નો કર્યા છે. ગીતામાં છે પણ એવું કે જેને જે જોઈએ એ બધું મળી રહે છે એટલે ગીતાની માન્યતા વ્યાપક બની શકી છે. ગીતામાં સૌને પોતપોતાનું તત્ત્વ મળી રહે છે એટલે ગીતા કટ્ટરવાદી થઈ નથી. બધા સંપ્રદાયોએ એમાંથી પોતપોતાનું પોષણ મેળવ્યું હોવા છતાં ગીતા સાંપ્રદાયિક નથી. આ એની વિશેષતા છે. હવે આપણે ગીતાજી વિશે વાત કરવી છે, પણ વધુ વાતો હવે આવતી કાલે.


Whatsapp-channel Whatsapp-channel

05 February, 2024 09:11 AM IST | Mumbai | Swami Satchidananda

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK