જયેશભાઈ જોરદાર બીજી ઑક્ટોબરે રિલીઝ થતાં તૂફાનને પ્રી-પોન કરવામાં આવી
વિકી કૌશલની ‘સરદાર ઉધમ સિંહ’ પણ બીજી ઑક્ટોબરે રિલીઝ થવાની હતી, પરંતુ એને હવે ૨૦૨૧ની પંદર જાન્યુઆરીએ રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
ફરહાન અખ્તર અને રણવીર સિંહ વચ્ચેની ટક્કર ટાળવામાં આવી છે. ફરહાનની ‘તૂફાન’ પહેલાં બીજી ઑક્ટોબરે રિલીઝ થવાની હતી, પરંતુ હવે એ દિવસે રણવીરની ‘જયેશભાઈ જોરદાર’ રિલીઝ થવાની છે. ‘તૂફાન’ને પ્રી-પોન કરતાં એ હવે ૧૮ સપ્ટેમ્બરે રિલીઝ થશે. ફરહાન અને રણવીર બન્ને ખૂબ જ સારા મિત્રો છે અને એથી જ તેમણે તેમની ફિલ્મોને લઈને આ નિર્ણય લીધો હતો. રણવીરની ફિલ્મને યશરાજ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. ફરહાનની ‘તૂફાન’ને તે અને રિતેશ સિધવાણી પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ વિશે યશરાજ ફિલ્મ્સ અને એક્સેલ એન્ટરટેઇનમેન્ટે જૉઇન્ટ સ્ટેટમેન્ટ જાહેર કરતાં કહ્યું હતું કે ‘બન્ને ફિલ્મોના ઇન્ટરેસ્ટને ધ્યાનમાં રાખીને આદિત્ય ચોપડા અને રિતેશ સિધવાણીએ તેમની ફિલ્મોને જુદા-જુદા દિવસે રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. ‘જયેશભાઈ જોરદાર’ બીજી ઑક્ટોબરે રિલીઝ કરવામાં આવશે, જ્યારે ‘તૂફાન’ને ૧૮ સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવશે.’