વિશ્વમાં ઘટી રહેલી દુઃખદ ઘટનાથી પોતાને અસહાય અનુભવે છે હૃતિક રોશન
હ્રિતિક રોશન
દેશ અને દુનિયામાં ઘટી રહેલી એક પછી એક ભયાવહ ઘટનાથી હૃતિક રોશન પોતાની જાતને ખૂબ અસહાય અનુભવી રહ્યો છે. વિશ્વમાં એક તો પહેલેથી જ કોરોનાની મહામારીએ સૌની કમર તોડી નાખી છે. એવામાં અનેક એવી ઘટના પણ બને છે જે સાંભળતાં જ હચમચી જવાય છે. એને લઈને ઇન્સ્ટાસ્ટોરી પર હૃતિકે લખ્યું છે, ‘આ ખૂબ કઠિન છે. છતાં આશાનાં કિરણ જગાવી રાખવાં જોઈએ. વિશ્વમાં જે ભયાવહ ઘટનાઓ ઘટી છે એને જોઈને હું નિઃસહાય મહેસૂસ કરી રહ્યો છું. બૈરુત ધડાકો, ઍર ઇન્ડિયા પ્લેન ક્રૅશ, મૉરિશ્યસ પર્યાવરણ ઇમર્જન્સી, પૂર અને આફત તથા ધરતીકંપ. છેલ્લે આર્કટિક આઇસ શેલ્ફનું તૂટવું. આ બધી ઘટનાઓ ત્યારે ઘટી જ્યારે આપણે મહામારીનો સામનો કરી રહ્યા છીએ. જેમણ પણ જીવ ગુમાવ્યા છે તેમના આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરું છું. સાથે જ શોકાતુર પરિવાર માટે પણ સાંત્વના વ્યક્ત કરું છું. આ કપરા સમયમાં આપણે એકબીજાને મદદ કરીએ અને સ્ટ્રૉન્ગ બનીએ. આ સમય પણ પસાર થઈ જશે. આપણને જરૂર માર્ગ મળશે.’