વુટ પર બીજી ડિસેમ્બરથી આ સીઝનની શરૂઆત થવાની છે. આ સિરીઝને યુવાઓ ખૂબ માણે છે
નીતિ ટેલર અને પાર્થ સમથાન
પાર્થ સમથાનનું કહેવું છે કે ‘કૈસી યે યારિયાં’ની ચોથી સીઝનમાં પણ લોકોને માણિક અને નંદિનીની બેમિસાલ લવ સ્ટોરી જોવા મળવાની છે. વુટ પર બીજી ડિસેમ્બરથી આ સીઝનની શરૂઆત થવાની છે. આ સિરીઝને યુવાઓ ખૂબ માણે છે. આમાં એક અદ્ભુત લવ સ્ટોરીની સાથે ટીન્સની ફ્રેન્ડશિપ પણ દેખાડવામાં આવે છે, જે દેશના યુવાનોને પરસ્પર જોડે છે. આ શોમાં માણિકના રોલમાં પાર્થ સમથાન અને નંદિનીના રોલમાં નીતિ ટેલર બાવા દેખાશે. તેમની સાથે આ સિરીઝમાં કિશ્વર મર્ચન્ટ, અયાઝ ખાન, મેહુલ નિસાર, આયુષ શોકિન, સાગર પારેખ અને પલાશ તિવારી પણ જોવા મળશે. શો વિશે પાર્થ સમથાને કહ્યું કે ‘‘કૈસી યે યારિયાં’ હંમેશાં પ્રેમને વ્યક્ત કરે છે અને આ વખતની સીઝનમાં પણ ફૅન્સને માણિક અને નંદિનીની નવા તબક્કાની લવ સ્ટોરી દેખાશે. ઘણા સમયથી દર્શકો આ શોને અતિશય પ્રેમ આપી રહ્યા છે અને મને પણ આ શોમાં જોડાવાની ખુશી છે. આ સીઝન દ્વારા અમે દર્શકોની અપેક્ષાએ ખરા ઊતરવાની ખાતરી આપીએ છીએ અને આશા છે કે તેઓ આ સીઝનને એન્જૉય કરશે.’
તો બીજી તરફ પોતાના કૅરૅક્ટર વિશે નીતિએ કહ્યું કે ‘નંદિનીનું કૅરૅક્ટર હંમેશાં મારા દિલની નજીક રહેશે. મને વિશ્વાસ છે કે દર્શકો માણિક અને નંદિનીની લવ સ્ટોરી સાથે પહેલાં કરતાં પણ વધુ સારી રીતે કનેક્ટ કરી શકશે. આ શાનદાર શોમાં સામેલ થઈને હું પોતાને શરૂઆતથી જ નસીબદાર માનું છું. સાથે જ #MaNanને જે પ્રકારે પ્રેમ આપવામાં આવે છે એને લઈને હું સૌની આભારી છું. પ્રેમ અને પ્રશંસા જે મળ્યાં છે એ મારી કલ્પના બહારનાં છે. આ સીઝનમાં તમને પ્રેમ, ડ્રામા, પૅશન અને જટિલતા વધુ જોવા મળશે. લોકોની પ્રતિક્રિયા જાણવા માટે હું આતુર છું. આશા છે કે આ સીઝનમાં પણ એવો જ પ્રેમ લોકો તરફથી મળે.’