જો વાતને સરળતાથી સમજાવવી હોય તો કહી શકાય કે નજર લાગવી એટલે કોઈની કનિષ્ઠ ઈર્ષ્યાના ભોગ બનવું, પણ કહ્યું એમ કનિષ્ઠ ઈર્ષ્યા એટલે એવું ક્યારેય માનવું નહીં કે એ કામ કોઈ નજીકની લાગણીશીલ વ્યક્તિથી બને
પ્રતીકાત્મક તસવીર
માની પણ મીઠી નજર લાગે.
આવું અનેક વખત સાંભળ્યું હશે; પણ ના, એ માત્ર ઉક્તિ છે. એવું ક્યારેય બને નહીં. નજર ત્યારે જ લાગે જ્યારે કોઈની કનિષ્ઠ ઇચ્છાનો ભોગ બન્યા હોઈએ. એકધારી પ્રગતિ કે પછી એકસામટી સફળતા જોઈને કોઈને પણ મનમાં ઈર્ષ્યા જન્મી શકે. એટલે સૌથી પહેલું તો એ વાતનું ધ્યાન રાખવું કે દરેક સફળતા સાથે કોઈ શુભ કાર્ય પણ કરતા રહેવું અને જરૂરિયાતમંદને સહાય કરતા રહેવી. શુભ કાર્યની વાત નીકળી છે ત્યારે ખાસ કહેવાનું કે શુભ કાર્ય એ જ કહેવાય જેમાં તમે આંખ પૂરતી પણ ઓળખાણ ન હોય એવી વ્યક્તિને નિઃસ્વાર્થભાવે સેવા કે મદદ કરો. જોકે ધારો કે એ પ્રકારનું કામ ન થઈ શક્યું હોય, ધારો કે એ જવાબદારી તમે ચૂકી ગયા હો અને એ પછી તમને એવું લાગતું હોય કે નજર લાગવાને લીધે તમારાં કામ આગળ વધી નથી રહ્યાં તો લાગેલી એ કનિષ્ઠ નજરની અસર સૂક્ષ્મ કરવા માટેના કેટલાક રસ્તાઓ છે જેનો ઉપયોગ કરવો જોઈએ.
૧. સમુદ્રી નમકના પાણીનો સ્પ્રે
સમુદ્રી નમકને પાણીમાં ઓગાળીને ઘરમાં એનાં પોતાં કરવાથી ઘરની નકારાત્મક ઊર્જા દૂર થાય છે એ તો તમે વાંચ્યું હશે અને એ પણ વાંચ્યું હશે કે સમુદ્રી નમકથી સ્નાન કરવું જોઈએ, પણ નજર લાગી હોય એવા સમયે સમુદ્રી નમકના પાણીને સ્પ્રેમાં ભરીને એ તમામ જગ્યાએ સ્પ્રે કરવો જોઈએ જે જગ્યા તમારા કામની છે. ઉદાહરણરૂપે, રાઇટિંગ ટેબલનો ઉપયોગ કરતા હો તો એના પર સમુદ્રી નિમકનો સ્પ્રે કરવો જોઈએ અને સાથોસાથ એ પણ પ્રયાસ કરવો જોઈએ કે એ તમામ જગ્યાએ એ પાણીનો સ્પ્રે કરવો જે જગ્યાએ જે-તે વ્યક્તિની નિયમિત અવરજવર કે બેઠક રહેતી હોય. વપરાશકર્તા નિયમિત જેનો વપરાશ કરતા હોય એને પણ સમુદ્રી નમકના પાણીનો સ્પ્રે કરવામાં આવે તો વધારે સારું રિઝલ્ટ મળી શકે છે.
૨. આસપાસમાં ગ્રીન પ્લાન્ટ્સ
જેના પર પણ નજર લાગી હોય એવું લાગતું હોય તે વ્યક્તિની આસપાસ ગ્રીન કલરના પ્લાન્ટ્સ વધારે હોય એ પ્રકારની અરેન્જમેન્ટ કરવી હિતાવહ પુરવાર થઈ શકે છે. જો તે વ્યક્તિ નાનું બાળક હોય તો તેની આસપાસ પ્લાન્ટ્સ એવી રીતે મૂકવા જેથી તે ત્યાં સુધી પહોંચી ન શકે. ગ્રીન પ્લાન્ટ્સમાં રહેલો ઑક્સિજન વ્યક્તિમાં રહેલી નેગેટિવ એનર્જીને દૂર કરવાનું કામ કરે છે તો સાથોસાથ એ પ્લાન્ટ્સ જે-તે વ્યક્તિમાં પણ ઑક્સિજનની નવી ઊર્જા ભરવાનું કામ કરશે, જે તેને પૉઝિટિવ બનાવવાનું કામ કરશે.
કોઈ કારણસર ધારો કે ગ્રીન પ્લાન્ટ્સ ન રાખી શકાય તો એ વાતાવરણમાં મૅક્સિમમ ગ્રીન કલરનો ઉપયોગ થાય એ પ્રકારનું વાતાવરણ ઊભું કરવું જોઈએ.
૩. ક્રિસ્ટલની માળાનો ઉપયોગ
જે વ્યક્તિને નજર લાગી હોય એવું લાગતું હોય તે વ્યક્તિને ક્રિસ્ટલની માળા પહેરાવવી જોઈએ અને જો તે વ્યક્તિ માને તો તેણે દરરોજ ઇષ્ટદેવતા, નક્ષત્રદેવતા કે પછી કુળદેવીની રોજ એક માળા કરવી જોઈએ. આ ત્રણ ડિવાઇન શક્તિ એવી છે જે જે-તે વ્યક્તિમાં પ્રવેશેલી કોઈ પણ નકારાત્મક ઊર્જાનો ક્ષય કરે છે અને તેનામાં સકારાત્મકતા ભરે છે. માળા કરવાનું કામ તે વ્યક્તિ કરી શકે એમ ન હોય કે તેની એટલી ઉંમર ન હોય તો આ કામ તેનાં માબાપ કે પછી પરિવારની કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. માળા કર્યા પછી એ માળા તે વ્યક્તિના માથા પરથી ફેરવી દેવી, જેને નજર લાગી હોવાનું ધારવામાં આવ્યું છે.
ક્રિસ્ટલની માળા ઉપરાંત તે વ્યક્તિના રોજબરોજના કાર્યક્ષેત્રની અને તેના ઘરની રૂમમાં પણ જો ક્રિસ્ટલ રાખવામાં આવે તો પણ એ લાભદાયી પુરવાર થઈ શકે છે. ક્રિસ્ટલ સકારાત્મક ઊર્જાને વધારવાનું કામ કરે છે.

