Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > આવા હતા ટેલિગ્રામની જાહોજલાલીના એ દિવસો

આવા હતા ટેલિગ્રામની જાહોજલાલીના એ દિવસો

08 June, 2024 12:02 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

દેશમાં જ્યારે તાર કહેતાં ટેલિગ્રામની બોલબાલા હતી ત્યારે શું દબદબો હતો એ ઇમારતનો!

તારસેવાની શરૂઆતમાં તાર મોકલવા માટે આવાં મશીન વપરાતાં

ચલ મન મુંબઈનગરી

તારસેવાની શરૂઆતમાં તાર મોકલવા માટે આવાં મશીન વપરાતાં


યે સુંદર જીવન માં તુમ સે મિલા


સુખદુખ કા સંદેશ ૧૬૩ વર્ષ અવિરત ચલા



હે તાર સેવા બહુત ઋણ હૈ તેરા


ઇસી કે ઉપલક્ષ્ય મેં માં તુમ્હે ઔર

સભી દેશ કે તાર સેવકોં કો સલામ મેરા


વરસ ૨૦૧૩, મહિનો જુલાઈ, તારીખ ૧૪. સમય રાતના પોણાબાર. નાગપુરની ટેલિગ્રાફ ઑફિસમાં એક જ કર્મચારી બેઠો છે. આજે રાતપાળી કરવાની નથી એનો આનંદ છે તો બીજી બાજુ વરસોથી જે કામ કરતો આવ્યો છે એ હવેથી નથી કરવાનું એનું દુઃખ પણ છે. છતાં વિચારે છે કે બાર વાગે એટલે બારણાં બંધ કરી ચાલતો થાઉં. ત્યાં દરવાજામાંથી એક સ્ત્રી દાખલ થાય છે. નામ છે કવિતા મકરંદ બેદરકર. તેના હાથમાંનું ટેલિગ્રાફ ફૉર્મ જોઈને પેલો કર્મચારી કહે છે : લાવો, મોકલી દઉં તમારો તાર. જવાબ મળે છે : ના, હમણાં નહીં, દસેક મિનિટ પછી આપીશ. ભીંત પરની જરીપુરાણી ઘડિયાળનો કાંટો આગળ વધતો જાય છે. ૧૧:૫૫. અને પોતાના હાથમાંનું ફૉર્મ બેદરકર પેલા કર્મચારીને આપે છે. એમાંનું ઉપલું લખાણ વાંચીને કર્મચારીથી નિસાસો મુકાઈ જાય છે. પણ પછી તરત એ તાર કવિતાની આઈ લક્ષ્મી રત્નાકર વાઘમારેને મોકલી આપે છે. ઉપરના શબ્દોવાળો તાર એ આપણા દેશમાં મોકલાયેલો છેલ્લો તાર. ૧૬૩ વરસ અવિરત કામ કર્યા પછી ૧૪મી જુલાઈ, ૨૦૧૩ના દિવસે આપણા દેશની તારસેવા હંમેશ માટે સમેટાઈ ગઈ.

દેશમાં જ્યારે તાર કહેતાં ટેલિગ્રામની બોલબાલા હતી ત્યારે શું દબદબો હતો એ ઇમારતનો! અગાઉ જ્યાં મુંબઈના કોટનો ચર્ચગેટ દરવાજો હતો અને પછીથી જ્યાં ફ્લોરા ફાઉન્ટન ઊભો થયો ત્યાં પશ્ચિમ દિશામાં મોઢું રાખીને ઊભા રહો તો જમણી બાજુએ દેખાય CTO કહેતાં સેન્ટ્રલ ટેલિગ્રાફ ઑફિસનું મોટું મકાન. મધ્યકાલીન ઇટાલિયન શૈલીમાં બંધાયેલું પથ્થરનું મકાન. એ વખતનાં બીજાં ઘણાં મકાનોની જેમ આ મકાન પણ પોરબંદર અને કુર્લા સ્ટોનનું બનેલું છે. બહારની દીવાલો પર ખૂબ જ સુંદર કોતરણીકામ કરેલું છે. વિક્ટોરિયા ટર્મિનસ, રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (જૂનું મકાન), મ્યુનિસિપાલિટીનું મકાન - બધાં આ જ શૈલીમાં બંધાયેલાં. અને બધાં બંધાયાં ફોર્ટ કહેતાં કોટની દીવાલો તૂટી એ પછી.

હા, ૧૮૭૦માં આ મકાન બંધાયું ત્યારે ત્યાં ટેલિગ્રાફ ઑફિસ નહીં, પણ જનરલ પોસ્ટ ઑફિસ આવેલી હતી. અને દેશમાં તારસેવાની શરૂઆત મુંબઈથી નહીં, કલકત્તાથી થઈ હતી. તાર માટેની દેશની પહેલવહેલી લાઇન – એ વખતે તાર મોકલવા માટે કેબલ વપરાતા – કલકત્તા અને એનાથી માત્ર પચાસ કિલોમીટર દૂર આવેલા ડાયમન્ડ હાર્બર વચ્ચે નખાઈ હતી. ૧૮૫૧થી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સરકારે ટેલિગ્રામનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. અને ૧૮૫૪ સુધીમાં તો આખા દેશમાં તારસેવા માટેના કેબલનું જાળું પાથરી દીધું અને પછી ટેલિગ્રામ સેવા પહોંચી મુંબઈ. ૧૯૦૯ સુધી ફ્લોરા ફાઉન્ટન પાસેના CTOના મકાનમાં જ મુંબઈની વડી તાર ઑફિસ અને પોસ્ટ-ઑફિસ આવેલી હતી. એક જમાનામાં CTOના મકાનમાં એકસાથે ૨૦૦-૩૦૦ કર્મચારી તારની આવન-જાવનનું કામ કરતા. ૧૯૦૯માં આજનું GPOનું મકાન બંધાતાં વડી પોસ્ટ ઑફિસ ત્યાં ખસેડાઈ.

૧૮૫૪ના એપ્રિલની ૨૭મી તારીખે મુંબઈથી પહેલો ટેલિગ્રામ મોકલવામાં આવ્યો – પુણે. તારસેવા શરૂ કરતી વખતે તો ખ્યાલ ક્યાંથી હોય, પણ ૧૮૫૭માં આ તારસેવા સરકારને ખૂબ જ કામ લાગી. એના પ્રતાપે લશ્કર અને સાધન સરંજામની હેરફેર બહુ જલદી થઈ શકી. જ્યારે સામા પક્ષ પાસે આવી કોઈ સગવડ નહોતી. ૧૯૦૨ સુધી તાર મોકલવા માટે કેબલ વપરાતા, પણ પછી તારસેવા વાયરલેસ બની. છેલ્લાં વરસોમાં એને ડિજિટલ બનાવવાના અખતરા પણ થયા. ફૅક્સ મશીનનો ઉપયોગ વધતો ચાલ્યો તેમ-તેમ તારસેવાનું મહત્ત્વ ઘટતું ગયું. જોકે પછી તો કમ્પ્યુટર, ઈ-મેઇલ, વૉટ્સઍપ વગેરેને કારણે ફૅક્સ મશીનો પણ કચરામાં ગયાં. શરૂઆતથી તારનું કામકાજ ટપાલ ખાતું સંભાળતું હતું

અને તેથી એ પોસ્ટ ઍન્ડ ટેલિગ્રાફ

તરીકે ઓળખાતું હતું. ૧૯૯૦ના અરસામાં સરકારે તારસેવા અલગ કરીને BSNLને સોંપી.

ઘણા દાયકાઓ સુધી કોઈને ઘરે તાર આવે એટલે પેટમાં ફાળ પડે. કોણ ગયું હશે? કોનું મરણ? તો બીજી બાજુ હરખના સમાચાર પણ તારવાળો લાવે. બાળકના – ખાસ કરીને દીકરાના – જન્મના સમાચાર ત્યારે તારથી આપવાનો રિવાજ. કોઈને સારી નોકરી મળી હોય, મેટ્રિકની કે બીજી કોઈ પરીક્ષામાં દીકરો કે દીકરી પાસ થયાં હોય તો ખબર તારથી અપાય. ટેલિગ્રામ મોકલવા માટે ખાસ ફૉર્મ આવતું. એમાં વિગતો ભરીને એ નજીકની તાર ઑફિસમાં આપી આવવાનું. પહેલાં જેને તાર મોકલવાનો હોય તેનું નામ-સરનામું, પછી સંદેશો, છેવટે મોકલનારનું નામ. અંતે લખવાનું મોકલનારનું સરનામું, જે તારમાં મોકલાય નહીં. માત્ર તાર ઑફિસની જાણ માટે. સરનામાના પહેલા આઠ શબ્દો ફ્રીમાં. પછી દરેક શબ્દદીઠ ચાર્જ ચૂકવવાનો. એમાં વળી તાર બે પ્રકારના : ઑર્ડિનરી અને એક્સપ્રેસ. ઑર્ડિનરી કરતાં એક્સપ્રેસનો ચાર્જ બમણો. ઑર્ડિનરી તાર સાધારણ રીતે ૫-૬ કલાકમાં પહોંચે. એક્સપ્રેસ તાર ૨-૩ કલાકમાં. અને ખાસ તો એક્સપ્રેસ તારની ડિલિવરી ૨૪ કલાક ચાલુ રહે, જ્યારે ઑર્ડિનરીની રાતે ન થાય. શરૂઆતના ઘણા દાયકા સુધી તાર માત્ર રોમન લિપિમાં જ મોકલી શકાતા. આઝાદી પછી દેવનાગરીમાં પણ શરૂ થયા.

શુભ વર્તમાન – સારા સમાચાર – આપતા સંદેશાઓ માટે બીજી એક ખાસ સગવડ નંબરવાળા તારની હતી. લગભગ ૩૫ જેટલા ‘ગ્રીટિંગ્સ’ સંદેશાની નંબરવાર યાદી હતી. જેમ કે :

Heartiest Diwali Greetings (No.1), My Heartiest Holi Greetings to You (20), Hearty Congratulations on the New Arrival (6), Convey our Blessings to the Newly Married Couple (25), વગેરે. ખાસ તૈયાર કરેલા રંગબેરંગી કાગળ પર આ તાર સંદેશા મોકલાય. જો ભૂલમાં ખોટો નંબર લખ્યો તો વાતનું વતેસર થઈ જાય. તો ક્યારેક મરાઠીભાષીઓ કહે એમ ‘ગમ્મત’ પણ થાય.

અમારા એક પાડોશીનો કિસ્સો યાદ આવે છે. પુત્રવધૂ ડિલિવરી માટે બહારગામના પિયરે ગઈ હતી. દિવસો વીતતા જાય એમ ઘરમાં ઇન્તેજારી વધતી જાય. અને છેવટે એક દિવસ તાર આવ્યો. પણ વેવાઈનો નહીં, કોઈ બીજા સગાએ કરેલો. પણ તેમણે પૈસા બચાવવા નંબરવાળો તાર કરેલો. હવે એના નિર્ધારિત લખાણમાં ‘New Arrival’ શબ્દો જ વપરાતા – બાબો કે બેબી, દીકરો કે દીકરી જેવા શબ્દો નહીં. એટલે તાર મળતાં ઘરમાં ચર્ચાનું ચકડોળ : દીકરો હશે કે દીકરી? દોઢ-બે કલાક પછી વેવાઈનો તાર આવ્યો એમાં ‘ખુશ ખબર : તમારા ઘરમાં દીકરો જન્મ્યો છે’ એમ લખેલું એ જોઈને ફોડ પડ્યો. વેવાઈના ઘરે સાત દીકરી. એટલે અવારનવાર આવા તાર કરવા પડે. તેથી થોડા પૈસા બચાવવા એક્સપ્રેસને બદલે ઑર્ડિનરી તાર કરેલો. એટલે નંબરવાળો તાર પહેલાં મળ્યો, ઑર્ડિનરી તાર પછીથી. 

પણ તારની મોસમ પૂરબહારમાં ખીલતી એ તો મેટ્રિકનું પરિણામ જાહેર થાય એ દિવસે. સ્કૂલના અગિયાર ધોરણ પછી મેટ્રિકની પરીક્ષા લેવાય. આખા મુંબઈ રાજ્યની – જેમાં આજનાં મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યનો સમાવેશ થતો – પરીક્ષા યુનિવર્સિટી ઑફ બૉમ્બે લે અને બરાબર બપોરે બાર વાગ્યે પરિણામ જાહેર કરે. ફોર્ટમાં આવેલા યુનિવર્સિટીના મકાનના પાછલા ભાગમાં યુનિવર્સિટીના રજિસ્ટ્રારની હાજરીમાં પાસ થયેલા વિદ્યાર્થીના નંબરની યાદીઓ લાકડાનાં પાટિયાં પર ચોડીને મુકાય. ખાસ કશા બંદોબસ્ત વગર પણ વિદ્યાર્થીઓ કે તેમના વાલીઓ ધક્કામુક્કી કર્યા વગર શાંતિથી નંબર જોઈ લે. મુંબઈ બહારના વિદ્યાર્થીઓનાં મા-બાપે કોઈ ને કોઈ સગાંને ભલામણ કરી હોય કે રિઝલ્ટ જાણીને તારથી ખબર કરજો. યુનિવર્સિટીના મકાનથી CTO બહુ દૂર નહીં. એટલે સાડાબાર–એક સુધીમાં તો ત્યાં મોટી લાઇન લાગી ગઈ હોય બહારગામનાં સગાં-સંબંધીને તાર મોકલવા માટે. અને બીજા છેડે કાગના ડોળે ક્યારે તાર આવે એની રાહ જોવાતી હોય.

SSC બોર્ડ શરૂ થયું એ પછી એના રિઝલ્ટને આગલે દિવસે મુંબઈનાં છાપાંને પહેલા દસ-વીસનાં નામ જ નહીં, આખેઆખું રિઝલ્ટ મોકલવાનું શરૂ કર્યું, જે બીજા દિવસે સવારે ૬-૮ પાનાં રોકતું, છતાં દરેક છાપું છાપતું. એટલે ગમે ત્યાંથી, ગમે તેમ કરીને, કોઈ ‘છાપાવાળા’ની ઓળખાણ શોધાતી. તેને નંબરો અપાતા. રિઝલ્ટની કૉપી મળે પછી ઓળખીતા-પાળખીતાના નંબર જોઈને ફોનથી ખબર આપે. અને પછી એ ખબર તારથી બહારગામ મોકલાય. એટલે CTOમાં લાઇન બપોરને બદલે સાંજે લાગે.  

એક જમાનામાં ફક્ત દિલ્હીની તાર ઑફિસમાંથી રોજના એક લાખ તારની આવન-જાવન થતી હતી! પણ પછી જેમ-જેમ ટેલિફોનની અને બીજી સગવડો વધી તેમ-તેમ તારનો ઉપયોગ ઓછો ને ઓછો થતો ગયો. પછી તો એવાય દિવસો આવ્યા કે વરસે ૭૫ લાખ રૂપિયાની આવક સામે ખરચ ૧૦૦ કરોડનો થતો. એટલે તારસેવાને બચાવવાના ઇરાદાથી સરકારે એના દર સીધા બમણા કરી દીધા. પણ તેથી તો તારની સંખ્યા ઘણી ઘટવાને લીધે ખોટ વધતી ચાલી. છેવટે સરકારે તારસેવા સમેટી લેવાનું પગલું લીધું. 

૨૦૧૩માં તારસેવા કાયમને માટે બંધ થયા પછી આજ સુધી આ CTOનું મકાન અવાવરું જેવું પડ્યું છે. ભોંયતળિયાનો કેટલોક ભાગ બૉમ્બે હાઈ કોર્ટને ભાડે અપાયો તો એની સામે વાંધો. કઈ સરકારી સંસ્થા એ વાપરે એ બાબતે હુંસાતુંસી. પરિણામે મકાનની દશા બગડતી જાય. ફાઉન્ટન પર ઊભા રહીને પથરો ફેંકો તો સીધો CTOના કમ્પાઉન્ડમાં પડે એવી મોકાની જગ્યા. અને છતાં એનો યોગ્ય ઉપયોગ કરવાનું આજ સુધી બની શક્યું નથી.

CTOના મકાનની અને તાર સેવાની જાહોજલાલીના દિવસોમાં આ લખનારે કંઈ કેટલીયે વખત ત્યાં જઈ, ફૉર્મ ભરી, લાઈનમાં ઊભા રહી તાર મોકલ્યા છે. અને હા, જેમને અંગ્રેજી લખતાં આવડતું ન હોય તેમના તાર લખી આપવા બહાર એક-બે માણસો કાયમ બેસતા. આઠ આના – રૂપિયો લઈ તાર લખી આપે. અને પોસ્ટમૅન પણ ઘરે ટેલિગ્રામ લઈને આવે અને ઘરમાં કોઈને અંગ્રેજી આવડતું ન હોય તો કવર ખોલીને તાર વાંચીને ગુજરાતી/મરાઠીમાં સમજાવે.

એક રીતે જુઓ તો આ તારસેવા નીલ ગગનનાં પંખેરું જેવી હતી. એ જમાનામાં જેને ચીલઝડપ કહેવાય એવી ઝડપે ખેપિયાનું કામ કરતી. એટલે જ આજે ક્યારેક એ CTOના મકાન પાસેથી પસાર થવાનું બને ત્યારે જીવ થોડો ચચરે છે અને પેલા લોકપ્રિય ગીતની પંક્તિ મન ગણગણવા લાગે છે : ઓ નીલ ગગનનાં પંખેરું, મને તારી યાદ સતાવે, મને તારી યાદ સતાવે.

Whatsapp-channel Whatsapp-channel

08 June, 2024 12:02 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK