Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > પીટરે ન્યુઝ ટાઇકૂન સાથે દુશ્મની લીધી, જેને લીધે મારે ઘણું સહન કરવું પડ્યું

પીટરે ન્યુઝ ટાઇકૂન સાથે દુશ્મની લીધી, જેને લીધે મારે ઘણું સહન કરવું પડ્યું

28 February, 2024 11:06 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ઇન્દ્રાણી મુખરજીની બાયોગ્રાફી ‘અનબ્રોકનઃ ધી અનટોલ્ડ સ્ટોરી’માં ઇન્દ્રાણીએ પોતાની અંગત વાતો કહી છે તો સાથોસાથ તેણે પોતાનાં પહેલાં મૅરેજની વાત પણ કરી છે

‘અનબ્રોકન : ધી અનટોલ્ડ સ્ટોરી’

બૂક ટોક

‘અનબ્રોકન : ધી અનટોલ્ડ સ્ટોરી’


આઇએનએક્સ મીડિયાનાં કો-ફાઉન્ડર અને સીઈઓ ઇન્દ્રાણી મુખરજીએ લખેલી આત્મકથા ‘અનબ્રોકન : ધી અનટોલ્ડ સ્ટોરી’ દ્વારા જાણવા મળે છે કે મહત્ત્વાકાંક્ષા અને પાવર-પૅક્ડ લાઇફ જીવવાના ખ્વાબને જો બ્રેક ન મળે તો કેવી કફોડી હાલત સરજાય


પહેલાં વાત એવી આવે છે કે આઇએનએક્સ મીડિયા કંપનીનાં કો-ફાઉન્ડર અને સીઈઓ ઇન્દ્રાણી મુખરજીની બહેન શીનાનું મર્ડર થયું છે. ગણતરીના દિવસોમાં વાત બદલે છે અને સમાચાર આવે છે કે શીના ઇન્દ્રાણીની બહેન નહીં પણ તેની દીકરી હતી! એ પછી થોડા જ સમયમાં નવેસરથી ધરતીકંપ આવે છે અને ઇન્દ્રાણીનાં પહેલાં મૅરેજની વાતો સામે આવે છે તો થોડા સમય પછી એવી પણ વાત બહાર આવે છે કે આ મર્ડરમાં બીજું કોઈ નહીં, ઇન્દ્રાણી મુખરજી જ સામેલ હતી, તેના કહેવાથી જ મર્ડર થયું હતું! શરીરમાં લખલખું પસાર કરી દે એવા ઉતારચડાવવાળી આ આખી વાત એવા સમયે બહાર આવી હતી જે સમયે ટીવી ઇન્ડસ્ટ્રીમાં આઇએનએક્સ મીડિયા હાઉસે દેકારો મચાવી દીધો હતો. સ્ટાર પ્લસનાં વળતાં પાણી શરૂ થયા પછી એને નવેસરથી ઊભું કરીને ઑડિયન્સમાં લોકપ્રિયતા આપવાનું કામ કરનારા પીટર મુખરજી સાથે મૅરેજ કરનારી ઇન્દ્રાણી મુખરજીએ પીટર સાથે આઇએનએક્સ ગ્રુપ થકી એન્ટરટેઇનમેન્ટ ચૅનલ લૉન્ચ કરી દીધી હતી તો બે મ્યુઝિક ચૅનલ પણ શરૂ કરી દીધી હતી અને અંગ્રેજી ન્યુઝ ચૅનલ પણ લૉન્ચ થઈ ગઈ હતી, જ્યારે હિન્દી ન્યુઝ ચૅનલ માટે સ્ટાફ લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું અને એ બધા વચ્ચે ઇન્દ્રાણી મુખરજીના ભૂતકાળે આખેઆખા ગ્રુપને તહસનહસ કરી નાખ્યું.




સગી દીકરીના મર્ડરમાં પહેલાં ઇન્દ્રાણીની અને પછી હસબન્ડ પીટર મુખરજીની અરેસ્ટ થઈ તો અવળા ક્રમમાં એટલે કે પહેલાં પીટરને અને એ પછી ઇન્દ્રાણીને બેઇલ મળી. ઇન્દ્રાણી છ વર્ષથી પણ લાંબો સમય જેલમાં રહી. જેલવાસ દરમ્યાન ઇન્દ્રાણી ભગવદ્ગીતાનો અભ્યાસ કર્યો અને એવું જાહેર કર્યું કે હવે તે સંન્યાસ લેવા માટે તૈયારી કરી રહી છે. અલબત્ત, જામીન મળ્યા પછી તેણે એ દિશામાં કોઈ કામ કર્યું નહીં અને જેલમાંથી બહાર આવ્યા પછી તેણે સૌથી પહેલાં પોતાની આત્મકથા ‘અનબ્રોકનઃ ધી અનટોલ્ડ સ્ટોરી’ લખી અને એ આત્મકથાએ અનેક નવા વિવાદો ઊભા કરવાનું કામ કર્યું તો સાથોસાથ એ પણ કહ્યું કે સ્ત્રીની માનસિકતા સમજવાનું કામ ખરેખર ભગવાન માટે પણ અઘરું કામ છે.

ઇન્દ્રાણી મુખરજી કહે છે, ‘આ બુક લખતી વખતે મને એક વાત સમજાતી હતી કે મારે બધું ભૂલીને જે સાચું છે એ કહેવું છે જેથી જવાનો સમય આવે તો હું માનસિક ભાર વિના જઈ શકું. સત્ય કહેવામાં હિંમતની જરૂર પડતી હોય છે એવું આપણે કહીએ છીએ પણ ‘અનબ્રોકનઃ ધી અનટોલ્ડ સ્ટોરી’ પછી હું કહીશ કે સત્ય કહેવામાં કોઈ હિંમતની 
જરૂર નથી પડતી. બસ, તમારે બધું ભૂલવું પડે છે.’


મારી સૌથી મોટી ભૂલ... |  પીટર મુખરજી સાથે મળીને આખું આઇએનએક્સ નેટવર્ક ઊભું કરનારી ઇન્દ્રાણી મુખરજીએ ‘અનબ્રોકનઃ ધી અનટોલ્ડ સ્ટોરી’માં પણ કહ્યું છે તો ત્યાર પછી જે કોઈ ઇન્ટરવ્યુ આપ્યા એ બધામાં પણ એ વાત કહી છે કે તેના જીવનની સૌથી મોટામાં મોટી ભૂલ જો કોઈ હોય તો એ પીટર મુખરજી સાથે મૅરેજ કરવાની. ઇન્દ્રાણી કહે છે, ‘પીટર એટલો મહત્ત્વાકાંક્ષી હતો કે તેને કશું જ સૂઝતું નહોતું. તેની સાથે રહીને હું પણ પૈસાની બાબતમાં વિચારતી થઈ ગઈ પણ હા, હું કહીશ કે મેં ફૅમિલીના ભોગે ક્યારેય પૈસાને મહત્ત્વ નથી આપ્યું પણ પીટર એ કરી શકતો અને એટલે જ કહું છું કે મારી લાઇફની સૌથી મોટી ભૂલ પીટર સાથેનાં મૅરેજ હતાં. પીટરે મારો ઉપયોગ કર્યો છે એ મને જ્યારે સમજાયું ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું.’
ભારતીય સંવિધાન મુજબ પીટર મુખરજી બિનભારતીય રહેવાસી હોવાથી એ સમાચાર ક્ષેત્રમાં અમુક ટકાવારીથી વધારે ઇન્વેસ્ટમેન્ટ કરી શકતો નહોતો. ઇન્દ્રાણી મુખરજીના કહેવા મુજબ પીટર ભારતીય ન્યુઝ ઇન્ડસ્ટ્રી પર પોતાનો હોલ્ડ બનાવવા માગતો હતો એટલે પીટરે મારો ઉપયોગ કર્યો, મારા નામે બધું ફન્ડ લીધું અને એ પછી મને કંપનીની સીઈઓ બનાવી. એ પહેલાં હું માત્ર ટાઇમપાસ માટે આઇએનએક્સ સાથે જોડાયેલી હતી. પીટરે ઇન્ડિયન ન્યુઝ ટાઇકૂન સાથે દુશ્મની લીધી, જે દુશ્મનીની સીધી અસર અમારા કેસ પર પડી અને એ લોકોએ રાઇટરની 
જેમ અમારા કેસમાં કિસ્સાઓ લખ્યા.’ 

બુક બની તરત ડૉક્યુમેન્ટરી | ઇન્દ્રાણી મુખરજીની બુક ‘અનબ્રોકનઃ ધી અનટોલ્ડ સ્ટોરી’ રિલીઝ થયાને હજી તો માંડ વર્ષ થયું છે પણ ત્યાં જ એના રાઇટ્સ નેટફ્લિક્સે લઈ લીધા અને એ બુકના આધાર પર ડૉક્યુમેન્ટરી બનાવી, જે આવતા દિવસોમાં રિલીઝ થશે. ઇન્દ્રાણી મુખરજી જ્યારે જેલમાં હતી ત્યારે એ સમયે જે ઘટના સામે આવી હતી એના આધાર પર બી-ગ્રેડની ફિલ્મ પણ બની, જેમાંથી એક ફિલ્મની રિલીઝ ઇન્દ્રાણીએ કોર્ટમાંથી સ્ટે લાવીને અટકાવી હતી તો કોરોના પિરિયડ પછી તરત જ એક ફિલ્મ રિલીઝ થઈ પણ એણે બૉક્સ-ઑફિસ પર પાણી સુધ્ધાં માગ્યું નહીં. ઇન્દ્રાણી કહે છે, ‘મને પત્રકારો પ્રત્યે બહુ આદર હતો પણ જે પ્રકારે અમારી સાથે થયું એ બધું નજીકથી જોયા પછી મારા મનમાં હવે એ માન રહ્યું નથી.’

જેલમાં ગયા ત્યાં સુધી ઇન્દ્રાણી મુખરજી અને પીટર મુખરજી સૌકોઈનાં પ્રિય હતાં પણ એ પછી લોકોનો રીતસર રંગ બદલાઈ ગયો. ઇન્દ્રાણી કહે છે, ‘અમારા આટલા દુશ્મન હશે એની અમને કલ્પના પણ નહોતી. મારે કહેવું રહ્યું કે પીટરને ટાર્ગેટ બનાવવા માટે જ મારો ઉપયોગ થયો અને મને હેરાન કરવામાં આવી.’

સ્ટોરી શૉર્ટકટ
ઇન્દ્રાણી મુખરજીની બાયોગ્રાફી ‘અનબ્રોકનઃ ધી અનટોલ્ડ સ્ટોરી’માં ઇન્દ્રાણીએ પોતાની અંગત વાતો કહી છે તો સાથોસાથ તેણે પોતાનાં પહેલાં મૅરેજની વાત પણ કરી છે અને પીટર સાથે રિલેશનશિપમાં તે કેવી રીતે આવી એની વાત પણ કરી છે. પીટર અને ઇન્દ્રાણીની ઓળખ કરાવનાર ગ્રેટ ઍડ-મેકર અલીક પદમસી હતા. ઇન્દ્રાણીની આ બુક વિવાદનો એક નવો આયામ છે એવું કહીએ તો પણ ખોટું નહીં કહેવાય. ‘અનબ્રોકનઃ ધી અનટોલ્ડ સ્ટોરી’માં ઇન્દ્રાણી કહે છે કે જેના મર્ડર માટે એટલે કે શીનાના મર્ડર માટે મને પકડવામાં આવી પણ હકીકતમાં શીના જીવે છે અને એ મેં કોર્ટમાં પુરાવા સાથે વાત મૂકી એટલે જ તો જામીન મળ્યા છે. દરેક માએ એક વાત યાદ રાખવી રહી. તે પોતાના બાળક સાથે જે વ્યવહાર શરૂઆતમાં રાખે એને જ કન્ટિન્યુ કરે એ બહુ જરૂરી છે એવું લખતાં ઇન્દ્રાણી ચોખવટ પણ કરે છે કે શીના સાથે મેં આ જ ભૂલ કરી અને એ જ ભૂલ અમારી વચ્ચે ખાઈ ઊભી કરી ગઈ. શરૂઆતમાં હું શીનાને બહેનની જેમ જ રાખતી પણ પછી એ ખોટી દિશામાં વધવા લાગી એટલે હું સ્ટ્રિક્ટ થઈ અને એ પછી શીનાએ મારી વિરુદ્ધ બેફામ બોલવાનું શરૂ કર્યું, જેણે મને તેના જ મર્ડરના કેસમાં સામેલ કરી દીધી.
‘અનબ્રોકનઃ ધી અનટોલ્ડ સ્ટોરી’માં ઇન્દ્રાણી લખે છે કે આ આખા કેસમાં મને એક વાત એ પણ સમજવા મળી કે આ દુનિયામાં સ્ત્રીનું સૌથી મોટું જો કોઈ દુશ્મન હોય તો એ સ્ત્રી જ છે, કારણ કે મને બદનામ કરવાનું કામ જેણે પણ કર્યું એમાં ૯૯ ટકા સ્ત્રીઓનો હાથ હતો અને તેને જ મારી વાતને ટ્વિસ્ટ કરીને રજૂ કરવામાં ઇન્ટરેસ્ટ હતો.

Whatsapp-channel Whatsapp-channel

28 February, 2024 11:06 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK