માહિમની ખાડી નવલકથા મુંબઈની એક ચોક્કસ ઝૂંપડપટ્ટીનું અને એના રહેવાસીઓનું આલેખન કરે છે
‘માહીમચી ખાડી’ નવલકથા, જૂજવે રૂપે અનંત ભાસે : મુંબઈની એક ઝૂંપડપટ્ટી
‘તડકો ચડવા લાગ્યો તેમ-તેમ ઝૂંપડપટ્ટીના માણસો પેટપાણીના ધંધા માટે રવાના થયા. વસ્તી શાંત થઈ ગઈ. ફક્ત બૈરાંઓ અને નવરાં ડોસાડગરાં ખોડાં કૂકડાં-બતકાંની જેમ પાછળ રહી ગયાં. ભરબપોરે એ લોકોની હલચલ પણ થંભી ગઈ. બધી બાજુ શાંતિ છવાઈ ગઈ ને બરોબર ૧૨ વાગ્યે વલ્લભભાઈ સ્ટેડિયમ બાજુ પહેલવહેલી આગ લાગી. વરલીના દરિયાનો સૂસવતો પવન એમાં ભળતાં જોતજોતાંમાં આગ ફેલાઈ ગઈ. એક પછી એક ઝૂંપડી ટપોટપ સળગવા લાગી. ઠીંગણી, તકલાદી ઝૂંપડીઓને લપેટી લેનારી ઊંચી ભભૂકતી જ્વાળાઓ જોઈને ચારે બાજુ હાહાકાર થઈ ગયો... આગ બુઝાવવાનું કોઈને સૂઝતું નહોતુ. અને સૂઝે તોય એ માટે પાણી ક્યાં હતું? એની બેસન્ટ રોડ પરથી પસાર થતી મોટરોમાંથી એકાદીએ બંબાખાનાને ખબર આપ્યા અને આગબંબા દોડી આવ્યા. પણ ત્યાં સુધીમાં તો આખી ઝૂંપડપટ્ટી બળીને ખાખ થઈ ગઈ હતી. અત્યાર સુધી ક્યાંક દૂર-દૂર ઊભા રહેલા પોલીસો હવે પટ દેતાંકને ત્યાં આવી પહોંચ્યા અને હજી ધૂંધવાઈ રહેલી એ ઝૂંપડપટ્ટીની ચારે બાજુ તેમણે કાંટાળા તારની ઊંચી વાડ ઊભી કરવાની શરૂઆત કરી. ફરી એ જગ્યાએ જવાનો કોઈ પ્રયત્ન કરે નહીં અને ફરી ઝૂંપડપટ્ટી ઊભી થાય નહીં એ માટે તેઓ આ ખટપટ કરી રહ્યા હતા.’



